રાજસ્થાનના CM અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે છે. ત્યારે તેઓની મુલાકાત પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
રાજસ્થાનના CM અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મહત્વનું નિવેદન
આ વખતે ચૂંટણીમાં 125 સીટો સાથે જીત મેળવીશું: ઠાકોર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં કોંગ્રેસ સક્રિય થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસ ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે સુરત અને રાજકોટની મુલાકાતે છે. ત્યારે અશોક ગેહલોતની મુલાકાતને લઇને સુરતમાં કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે.
અશોક ગેહલોતે ભૂતકાળમાં પણ ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું છે
જગદીશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું કે, 'અશોક ગેહલોત સુરતના આગેવાનો સાથે બેઠક કરશે. ગેહલોત સુરત બાદ રાજકોટના આગેવાનો સાથે બેઠક કરશે. બે દિવસમાં તમામ ઝોનના પદાધિકારીઓ સાથે બેઠક થશે. અશોક ગેહલોતે ભૂતકાળમાં પણ ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું છે. ગેહલોત બેઠકોમાં ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમોનો રિવ્યુ કરશે. રિવ્યુ બાદ ગેહલોત ચૂંટણીલક્ષી જરૂરી સૂચનો આપશે. આ વખતે અમે ચૂંટણીમાં 125 સીટો સાથે જીત મેળવીશું.'
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વરનો બે વખત રદ થયેલો ગુજરાત પ્રવાસ ફરીવાર ગોઠવાયો છે. 16થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં સતત ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન છે. મહત્વનું છે કે, આ પહેલા આરોગ્યને લઇને અશોક ગેહલોતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
જુઓ અશોક ગેહલોતનો ત્રણ દિવસનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ?
આજે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની બેઠકમાં અશોક ગેહલોત હાજર રહી શકે છે.
સાંજના 4 વાગ્યે રાજકોટના હેમુગઢવી હોલમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાગ લેશે.
રાજકોટની આ બેઠકમાં સૌરાષ્ટ્રભરના શહેર-જિલ્લા પ્રમુખો, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, નિરીક્ષકો અને પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે.
17મીએ મધ્ય તથા ઉતર ઝોનમાં આ પ્રકારની બેઠક કરશે.
18 ઓગસ્ટે ચૂંટણી જવાબદારી ધરાવતા અને હાઇકમાન્ડે નિયુક્ત કરેલા તમામ ઓબ્ઝર્વરો તથા પ્રદેશ નેતાગીરી સાથે બેઠક કરશે.
અશોક ગેહલોતની ગુજરાત મુલાકાતને લઇ જગદીશ ઠાકોરનું નિવેદન, કહ્યું 'અશોક ગેહલોત ચૂંટણીલક્ષી સૂચનો આપશે, તેઓએ ભૂતકાળમાં પણ ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું છે, આ વખતે ચૂંટણીમાં 125 સીટો સાથે જીત મેળવીશું'@ashokgehlot51#Gujarat#JagdishThakor
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2022
જુઓ કોંગ્રેસે કોને-કોને કઇ જવાબદારી સોંપી છે?
વિશેષમાં તમને જણાવીએ કે, આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તો છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એ સિવાય રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. જ્યારે છત્તીસગઢના નેતાઓમાં ટી.એસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.