ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકાર લોકશાહીમાં માનતી નથી અને આંદોલનકારીને સજા મળે તેવા કાયદા બનાવ્યા છે
રાજ્ય સરકાર પર જગદીશ ઠાકોરના પ્રહાર
'સરકાર લોકશાહીમાં નથી માનતી'
'સરકારે લોકોને હેરાન કરનારા કાયદા બનાવ્યા'
ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભામાં ચૂંટણીમાં પરાજય મેળવ્યા બાદ હવે એક્શનમાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહીનો દોર ચલાવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જગદીશ ઠાકોર જણાવ્યું કે, રાજ્ય સરકાર લોકશાહીમાં માનતી નથી.
સરકાર નિષ્ફળતાની ટીકા પણ સાંભળી શકતી નથી:જગદીશ ઠાકોર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. તેમણે કહ્યું કે, સરકાર નિષ્ફળતાની ટીકા પણ સાંભળી શકતી નથી અને સરકાર લોકશાહીમાં માનતી નથી, આંદોલનકારીને સજા મળે તેવા કાયદા સરકારે બનાવ્યા. તેમણે ઉમેર્યું કે, પોલીસ વાળો આઈપીએસના ફોન સાંભળે એવું ક્યાંય સાંભળ્યું છે? અને બુટલેગરને વિગત પોહોંચાડે એવું ક્યાંય સાંભળ્યું છે?. ઠાકોરે કહ્યું કે, સરકારના કારણે અત્યારે ગુજરાતમાં શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સલામત નથી અને બધાને ખબર છે પણ ડરનો માહોલ છે.
'માત્ર ચર્ચાઓ નહી કરીએ કામ કરીશું'
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતમા હાથ સે હાથ જોડો કાર્યક્રમ શરૂ કરાશે અને તાલુક કક્ષાએ બે દિવસનો કાર્યક્રમ પણ શરૂ કરાશે. લોકસભાની તૈયારી કોંગ્રેસે શરૂ કરી છે તેમણે જણાવ્યું કે, ચૂંટણી પરિણામ સંદર્ભે સમીક્ષા ચાલી રહી છે રિપોર્ટ કેન્દ્રને મુકાયા બાદ નિર્ણય થશે તેમણે કહ્યું કે, માત્ર ચર્ચાઓ નહી કરીએ કામ કરીશું અને કોંગ્રેસમાં કાર્યકરથી નેતૃત્વ ચાલે છે.
સસ્પેન્ડ કરવા મામલે જગદીશ ઠાકોરનું નિવેદન
કોંગ્રેસના નેતાઓને સસ્પેન્ડ કરવા મામલે જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, શિસ્ત સમિતિના ચેરમન આ અંગે ચર્ચા કરશે અને પક્ષ વિરોધી કામ કરનાર લોકોની વાત કરવામાં આવે તો ભાજપ કાર્યાલય બેઠા હોય છે. તેમણે કહ્યું કે, જાહેર સભા કરવામાં આવી હોય તે લોકોને નોટિસ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નિરકુંશ અને અશિસ્ત લોકો સામે આ કાર્યવાહી થઈ છે અને આવી કાર્યવાહીથી કાર્યકરો ખુશ પણ છે
ગઈકાલે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 નેતાઓને સસ્પેન્ડ કર્યો
વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી દોર ચાલ્યો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં પ્રગતિ આહિર સહિતના ચાર નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં હતા. જૂનાગઢ શહેર કોંગ્રેસના અમિત પટેલ, રાવણ પરમારને તેમજ માજી કોર્પોરેટર રાજુ સોલંકીને પણ સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના અંગત નિરીક્ષકના રિપોર્ટ બાદ પાર્ટીએ આ મોટો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
અગાઉ સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા પ્રમુખને કરાયા હતા સસ્પેન્ડ
કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.