દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ લેશે શપથ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 93 ટકા સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે 50થી વધુ સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.
કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી ઉપરાષ્ટ્રપતિનું 'પ્રમાણપત્ર' જાહેર કર્યું
જગદીપ ધનખડ બનશે દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ
11 ઓગસ્ટે યોજાશે નવા ઉપરાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે (રવિવારે) દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડની પસંદગીની જાહેરાત કરતું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ ધનખડ માટે જારી કરેલા ચૂંટણી પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા અને ચૂંટણી પંચના વરિષ્ઠ મુખ્ય સચિવ નરેન્દ્ર એન. બુટોલિયાએ પ્રમાણપત્રની સહી કરેલી નકલ કેન્દ્રીય ગૃહ સચિવને આપી હતી. આ નકલ 11 ઓગસ્ટે નવા ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ દરમ્યાન વાંચવામાં આવશે.
વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. જગદીપ ધનખડરને એકતરફી હરીફાઈમાં કુલ 528 મત મળ્યા હતા. જ્યારે અલ્વાને માત્ર 182 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.
કેટલા સાંસદોએ કર્યું હતું મતદાન ?
આ ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 710 મત માન્ય અને બાકીના 15 મત અમાન્ય જણાયા હતા. 71 વર્ષીય ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું સ્થાન લેશે. તેઓ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત લગભગ 93 ટકા સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે 50થી વધુ સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો. મતદાન માટે લાયક 780 સાંસદોમાંથી માત્ર 725એ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કેટલા સાંસદો મતદાન કરવા પાત્ર હતા ?
સંસદના બંને ગૃહોના મળીને કુલ સભ્યોની સંખ્યા 788 છે, જેમાંથી ઉપલા ગૃહ (રાજ્યસભા)ની આઠ બેઠકો હાલમાં ખાલી છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 780 સાંસદો મતદાન કરવા માટે લાયક હતા. તૃણમૂલ કોંગ્રેસ તેની અગાઉની જાહેરાત મુજબ આ ચૂંટણીથી દૂર રહી હતી. જોકે, તેના બે સાંસદો શિશિર કુમાર અધિકારી અને દિવ્યેન્દુ અધિકારીએ મતદાન કર્યું હતું. બંને ગૃહોમાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 36 સાંસદો છે. જણાવી દઈએ કે, વર્ષ 2017ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નાયડુની ચૂંટણી સમયે 98.2 ટકા વોટ પડ્યા હતા.