થોડા દિવસો અગાઉ જ અમદાવાદના જમાલપુરમાં જગન્નાથ મંદિર જમીન વિવાદ મામલે ચેરિટી કમિશનરે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ટ્રસ્ટ દ્વારા વેચાયેલી જમીન પાછી લેવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પાસે પત્રકાર નિવેદન લેવા ગયા હતા. આ દરમિયાન કેમેરામેન સાથે તેમણે બબાલ કરી હતી. કવરેજ કરવા આવેલા કેમેરામેનનો કેમેરો બંધ કરાવ્યો હતો.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી કમેરામેન સાથે બાખડી પડ્યાં
કેમેરામેન સાથે બબાલ કરતો વીડિયો વાયરલ
કવરેજ કરવા આવેલા કેમેરામેનનો કેમેરો બંધ કરાવ્યો
જગન્નાથ મંદિર... આ પાવન ધામ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ પર 800 કરોડની ભાડા પેટે આપેલી જમીન વેચી મારવાનું કૌભાંડ છે. કૌભાંડનો પર્દાફાશ થતાં ગભરાયેલા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આખરે કેમેરા મેન સાથે જ બાખડી પડ્યાં હતા. તેમણે કવેરેજ રોકવા માટે મજબુર કરીને જબરદસ્તી તેમનો કેમેરો બંધ કરાવ્યો હતો.
પત્રકારો પર અવારનવાર થઇ રહ્યા છે હુમલાઃ ફરિયાદી
એક ખાનગી ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન થયું હતું. આ મામલે ચેનલના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી છે. હું અપેક્ષા રાખું છું કે પોલીસ અને સરકાર પત્રકારો પર અવારનવાર હુમલા થાય છે ત્યારે તેને સુરક્ષા આપવા માટે કંઇક કરવું જોઇએ. હું સીસીટીવી ફૂટેજની માંગણી કરીશ.
પત્રકાર પર કોઇપણ પ્રકારનો હુમલો થયો નથીઃ પોલીસ
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિર જમીન બાબતે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પાસે ગયેલ ન્યૂઝના કાર્યકર પર કોઇ પણ પ્રકારનો હુમલો થયો નથી. તેમણે જમીન બાબતે વાત કરતા મહેન્દ્રભાઇએ કહ્યું હતું કે જતા રહો. જ્યાં વધુ માણસો ભેગા થઇ જતા. એસઆરપીના જવાનો ગયા હતા. અને તેઓ આ લોકોને બહાર લઇ આવ્યા હતા. પત્રકારો પર કોઇપણ પ્રકારનો હુમલો થયો નથી. તેમની રજૂઆત લેવામાં આવી છે. પોલીસ અને એસઆરપીના લોકોએ જે કામગીરી કરી હશે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે કરી હશે.