ભગવાન જગન્નાથની 142 રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે રંગેચંગે ભગવાન નગરચર્યા કરવા નીકળે છે. ભગવાન જ્યારે મામાના ઘરે જાય ત્યારે મામાના ઘરેથી આપવામાં આવતા મામેરાની પણ એક અગાવી વિશેષતા હોય છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લાહવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે.
મળતી માહિતી મુજબ 20 વર્ષ પહેલા તેમણે ભગવાનના મામેરા માટે નામ નોંધાવ્યું હતું ત્યારે હવે લાંબા સમય બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. શહેરમાં ઘણા એવા પરીવારો છે કે જેઓ આ પ્રસંગની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. આ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મામેરું કરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
આ વર્ષે અંદાજે 10 લાખથી વધુના ખર્ચે ભગવાનનું મામેરું તૈયાર કરશે. 20 જૂનથી જ્યારે ભગવાન મામાના ઘરે જશે, ત્યારે ભગવાનનું મામેરું દર્શનાર્થીઓના દર્શન માટે ખુલ્લું મુકાશે.
ભગવાનના મામેરું કરવાનું બુકિંગ વર્ષો સુધી એડવાન્સ થાય છે
ભગવાનનું મામેરું કરવાનું બુકિંગ વર્ષો સુધી એડવાન્સમાં થઇ જાય છે. 20 વર્ષ પછી કાનજી પટેલના પરિવારના ઘરે મામેરાનો અવસર આવતા પરિવારના તમામ સભ્યો આતુરતાથી પોતાના ઘરે ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા છે અને અત્યારથી જ ભગવાનના સ્વાગતની તમામ તૈયારીઓ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. કાનજી પટેલે ભગવાનના વાઘા વડોદરાથી તૈયાર કરાવડાવ્યા છે અને આ વર્ષે અંદાજિત દસ લાખના ખર્ચે ભગવાનનું મામેરું તૈયાર કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભગવાન જ્યારે ભાણેજ બનવાના હોય અને તેનો આ અવસર મળ્યો છે, તેથી પરિવારમાં ખૂબ જ આનંદ છે. સાથે કાનજી ભાઈ એ જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષથી જે પ્રસંગની રાહ જોઈ રહ્યા હતા. તે પ્રસંગ અમારા ઘરના આંગણે આવ્યો છે, એટલે અમે ઘરના બધા જ સભ્યો ખુશ છીએ. ભગવાનનું મામેરું અમે તન, મન, ધન અને શક્તિથી કરવા માગીએ છીએ. ત્યારે આ વખતે અલગ અંદાજમાં ભગવાનનું સ્વાગત કરવા આ પરિવારે આતુરતા બતાવી છે.