આજે અષાઢી બીજ રથયાત્રાનું પાવનપર્વની ઉજવણી થવાની છે. આખું શહેર જગતના નાથના દર્શન કરવા માટે રાજમાર્ગો પર ઉતરી આવે છે. મગ-જાંબુ અને દાડમનો પ્રસાદ લેવા માટે સેંકડો લોકો કલાકો સુધી ઊભા રહે છે. આ સાથે જ પહિંદ વિધીથી રથયાત્રાની શરૂઆત થાય છે અને શહેરના રાજમાર્ગો પરથી રથયાત્રા પસાર થાય છે.
દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે. આવી જ વિશાળ રથયાત્રા પુરીમાં પણ યોજાય છે. ત્યારે આ બંન્ને રથયાત્રાના પરપંરાના અતિતની ઝાંખી કરાવતો અમારો વિશેષ અહેવાલ.
જગન્નાથજી મંદિરનો 400 વર્ષ જુનો ઇતિહાસ
આશરે ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ શહેરના જમાલપુર ખાતે આવેલ જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના બાદ ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર 'જગન્નાથજીની મંદિર' તરીકે ખ્યાતિ પામ્યું. ત્યારબાદ બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.
અમદાવાદમાં રથયાત્રા
ઈ.સ. 1978માં આ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમ વખત રથયાત્રા યોજી હતી. ત્યારે તો એ નાના પાયે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે એનો વ્યાપ વધ્યો અને રથયાત્રા અમદાવાદના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ છે. લોકમુખે સાંભળવા મળે છે કે, મહંત નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રાની શરૂઆત કરાવી.
પ્રથમ વખત બળદગાડામાં ભગવાન નીકળ્યા હતા નગરયાત્રાએ
1978થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. મહંત નરસિંહદાસજી જ્યારે પ્રથમવાર રથયાત્રા કાઢેલી ત્યારે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. સમય પસાર થતો ગયો તેમ-તેમ રથયાત્રા અતિ જાણીતી થવા લાગી અને ધીમે-ધીમે આ યાત્રામાં મોર્ડન બની ગઈ. આજે રથયાત્રામાં અનેક લોકો ભજન મંડળી, ગજરાજ, અખાડાના કરતબો, બેન્ડવાજાં, સાધુસંતોની મોટી ફોજ રથયાત્રામાં જોડાય છે.
જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદ સાથે રથયાત્રાનો થાય છે પ્રારંભ
અષાઢી બીજની વહેલી સવારે ચાર વાગ્યે નિજ મંદિર ખાતે ભગવાનની પૂજા આરતી થાય છે. ત્યારબાદ સાડા ચાર વાગ્યે જગતના નાથને ભોગ ધરાવાય છે. આ ભોગમાં ખીચડી, કોળું અને ગવારફળીનું શાક અને દહીં ધરાવવામાં આવે છે. એ ભોગવિધિ પછી ત્રણેય ભગવાનને તેમના અલગ અલગ રથો પર લઈ જવાય છે અને સાત વાગ્યે પહિંદ વિધિ થયા બાદ જગતના નાથ નગરયાત્રાએ નીકળે છે.
પુરીમાં રથયાત્રા
ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. અહીં પ્રથમ વખત રથયાત્રા 1907માં યોજાઇ હતી. દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પરંતુ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
ભગવાનની પ્રતિમા લીમડાના લાકડામાંથી બનેલી છે
ઓરિસ્સાના જગન્નાથપુરી ખાતે આવેલ ભગવાનની પ્રતિમાઓ લીમડાના લાકડાથી બનેલી છે. કહેવાય છે કે આ એક બાહરી ખોલ માત્ર હોય છે. તેની અંદર ભગવાન શ્રીકૃષ્ણ પોતે હાજરા હજુર છે.
કેવી રીતે નીકળે છે જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથ, તેમના ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાને જગન્નાથ મંદિરથી રથમાં બેસાડી ગુંડિચા મંદિર લઇ જાય છે. કહેવામાં આવે છે કે ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથની માસીનું ઘર છે. ભગવાન જગન્નાથનો રથ સૌથી પાછળ હોય છે. આ રથ પર સોનની ઝાડૂં લગાવીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. આ દરમિયાન પારંપરિક વાદ્ય યંત્રોના નાદ સાથે સેંકડો લોકો ત્રણ વિશાળ રથોને ખંચતા જોવા મળે છે.
સૌથી પહેલા ભગવાન જગન્નાથના ભાઇ બલભદ્રનો રથ પ્રસ્થાન કરે છે બાદમાં બહેન સુભદ્રાનો રથ અને અંતે ભગવાન જગન્નાથનો રથ નીકળે છે. માનવામાં આવે છે કે રથ ખેંચવો ખુબ જ સૌભાગ્યશાળી અને શુભ હોય છે. રથ ખેંચનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નગર ભ્રમણ બાદ સાંજે ત્રણેય રથોને ગુંડિચા મંદિર પહોંચાડવામાં આવે છે. અને ત્ચારબાદ બીજા દિવસે ભગવાન રથથી ઉતરીને મંદિરમાં પ્રવેશ કરે છે અને ત્યાં 7 દિવસ રહે છે.