ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં વધ્યા આંટાફેરા, હવે જે.પી નડ્ડા આવી રહ્યા છે ગુજરાત
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
29 એપ્રિલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થાય તેવી એંધાણ વચ્ચે રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. પીએમ મોદી બાદ પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 29 એપ્રિલથી 3 દિવસ તેઓ ગુજરાતના મહેમાન બનશે.
શરુ થશે બેઠકોનો ધમધમાટ
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં જે.પી નડ્ડા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક યોજશે. મંત્રીમંડળના સભ્યો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. GMDC હોલ ખાતે મંડળ સ્તરના કાર્યકરો સાથે પણ સંમેલન યોજશે.
વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
29મી એપ્રિલે સાંજે તેઓ વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ 30 એપ્રિલે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યારે 1 મેના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉપરાંત પાટણ ખાતેના સરકારી કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે.
30 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે
તો 30 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પંચમહાલ અને દાહોદ જિલ્લાના પ્રવાસનું આયોજન છે. તેઓ ગાંધીનગર અને પંચમહાલના કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ગાંધીનગરમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે આ ઉપરાંત પંચમહાલ ડેરી અને PDC બેંકના કાર્યક્રમમાં પણ શાહ હાજર રહેશે.
1લી મેના રોજ અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 1લી મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ નિમિત્તે તેઓ ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ ગુજરાત આવીને સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરશે તેવી શક્યતાઓ છે,,,કેજરીવાલ જ્યારે ગુજરાત આવશે ત્યારે જનસભાને પણ સંબોધિત કરશે.