જમ્મુ કશ્મીરના શોપિયોમાં આતંકીઓએ 3 પોલીસ કર્મીઓની હત્યા પછી સમગ્ર ભારતમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જમ્મુ કશ્મરી પોલીસના બેડામાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ કેટલાંક પોલીસ કર્મીઓએ રાજીનામા આપી દીધા હોવાની વાત સામે આવી હતી. જોકે ગૃહમંત્રાલય તરફથી નિવેદન આવ્યું છે કે રાજીનામાની વાતો અફવા છે અને અસામાજિક તત્વોની કરતૂત હોવાની વાત કરી હતી. તો બીજી તરફ લોકોએ શહીદોને અશ્રુભીની શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી.
નરેન્દ્ર મોદીના ચૂંટણી સમયે કરેલા અનેક દાવા સામે દેશની પ્રજા સવાલ ઉઠાવી રહી છે. તેમને મોંઘવારી હટાવવાની વાત કરી હતી પરંતું તેમાં મોદી સરકાર તદન નિષ્ફળ પુરવાર થઈ હતી. આ ઉપરાત તેમને જમ્મુ કશ્મીરમાં ચાલતી પ્રવૃતિઓને નાથવા મામલે મોટા મોટા દાવા કર્યા હતા.
જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક જવાન સામે 10 માથા લાવવામાં આવશે પરંતું તેમની સરકાર બની ત્યારથી જવાનો અને અનેક પોલીસ કર્મીઓ જમ્મુ કશ્મીરમાં શહીદ થયા છે. હાલ ત્રણ પોલીસ કર્મીઓની હત્યા બાદ દેશભરમાં રોષ છે કે આખરે સરકાર કરવા શું માગે છે અને તે કેમ આ આતંકીઓ અને જમ્મુ કશ્મીરમાં થતી પ્રવૃતિઓને રોકવામાં નિષ્ફળ છે.
ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે 30 હજારથી વધુ SPO અહીં પોસ્ટીંગ કરાયા છે. જેની સમયે-સમયે સમીક્ષા કરાય છે પરંતું આવી ચુક કેમ રહી તે અંગે તપાસ કરાશે અને આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય તેવા પગલાં લેવાશે.
આતંકઓએ જમ્મુ કશ્મીરના સ્થાનિક પોલીસ કર્મીઓને પોલીસની નોકરી છોડી દેવા માટે ધમકી આપી હતી. જોકે એમ ન થતાં પોતાનો ખૌફ ફેલાવવા માટે આતંકીઓએ ત્રણ પોલીસ કર્મીઓની હત્યા કરી હતી. ત્રણેય પોલીસની ઓળખ સામે આવી છે જેમાં કોન્સટેબલ નિસાર અહમદ બે SPO ફિરદૌર અહમદ અને કુલવંતસિંહની હત્યા કરાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ બાટાગુંડ ગામના લોકોએ આતંકીઓનો પીછો કર્યો હતો અને પોલીસ કર્મીઓને છોડી દેવા માટે અપીલ કરી હતી પરંતું આતંકીઓએ હવામાં ગોળીબાર કરીને ગામના લોકોને ભગાડી દીધા હતા. આ ઘટનાની હિઝબુલ મુઝાહિદ્દીને જવાબદારી સ્વીકારી છે. દેશભરમાં આ ઘટનાની ટિકા થઈ રહી છે અને રાજકારણીઓ રાજકીય રોટલા શેકવામાંથી બહાર આવી રહ્યા નથી.
આ સમગ્ર ઘટના બાદ કશ્મીરમાં પોલીસ કર્મીઓ પ્રત્યે દેશભરમાં સહાનુભૂતિ ઉભી થઈ છે પરંતું રાજકીય નેતાઓ પોતાનો રોટલો શેકી રહ્યા છે. મહેબૂબા મુફ્તએ આ ઘટના અંગે દુખ વ્યકત કર્યું હતું અને કેન્દ્ર સરકારની નીતિઓ પર પ્રહાર કર્યા હતા. જોકે આ ત્રણેય શહીદોની અંતિમ વિદાયમાં લોકો જોડાયા હતા અને અશ્રુભીનિ શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી.