ઘાતક કોરોના મહામારી સામેની લડાઈમાં આજે સવારે ખૂબ રાહત આપે તેવા સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણને માત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યા હવે એક કરોડને પાર થઈ ગઈ છે, જેની સામે અત્યાર સુધીમાં ૧,૫૦,૩૩૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાહતની બીજી મોટી વાત એ છે કે ભારત હવે કોરોનાથી સંક્રમિત દેશોની યાદીના ટોપ 10 માંથી બહાર થઈ ગયું છે. હવે ભારતમાં માત્ર 2.28 લાખ જેટલા જ એક્ટિવ કેસો રહી ગયા છે.
કોરોના સામેની લડાઈમાં સૌથી મોટી રાહતના સમાચાર
ભારતમાં એક કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા
સંક્રમણની ટોપ ટેનની યાદીમાં ભારત હવે બહાર થયું
બીજી તરફ થોડી ચિંતાની બાબત એ છે કે, ૨૪ કલાકમાં નોંધાતા કોરોના સંક્રમણના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૦,૩૪૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમણના કારણે વધુ ૨૨૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૩,૯૫,૨૭૮ થઈ ગઈ છે.
એક કરોડથી વધુ લોકો દેશમાં સાજા થયા
આરોગ્ય મંત્રાલયના દાલા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૦,૧૬,૮૫૯ કોરોનાગ્રસ્ત લોકો સારવાર લીધા બાદ સંપૂર્ણ સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૫૮૭ દર્દીઓને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં દેશભરમાં કુલ ૨,૨૮,૦૮૩ એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૦,૩૩૬ લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR એ આજે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ જાન્યુઆરી સુધીમાં દેશમાં કુલ ૧૭,૮૪,૦૦,૯૯૫ લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈકાલે બુધવારના ૨૪ કલાકમાં ૯,૩૭,૫૯૦ લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.