મમતા બેનરજીએ પોતાના ટ્વિટર પ્રોફાઇલમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભાજપે તેની કિંમત ચૂકવવી પડશે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડવા પર મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે આ સંપૂર્ણપણે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ભાજપને વિદ્યાસાગરની પ્રતિમા તોડવાની એકે એક ઇંચની કિંમત ચૂકવવી પડશે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાના મામલે હવે રાજકીય સંગ્રામ છેડાયો છે. હિંસાને લઇને ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે તો તેની સામે મમતા બેનરજીએ ભાજપને પોતાનાં ઉગ્ર તેવર બતાવ્યાં છે.
મમતા બેનરજીએ ભાજપને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તમારા લોકોનું નસીબ સારું છે કે હું અહીં શાંત બેઠી છું, અન્યથા હું એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપના કાર્યાલય અને તમારાં ઘરો પર કબજો કરી શકું છું. મમતા બેનરજીએ ભાજપના અધ્યક્ષ પર ઉગ્ર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે શું અમિત શાહ ભગવાન છે? કે તેમની વિરુદ્ધ કોઇ દેખાવો કરી શકે નહીં?
શું અમિત શાહ એટલા અસભ્ય છે કે તેમણે વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી? અમિત શાહ પોતાની જાતને શું સમજે છે? વિદ્યાસાગરની પ્રતિમા તોડનારાં બહારી તત્ત્વો હતાં. ભાજપ આ બહારી તત્ત્વોને પ્રતિમા તોડવા માટે જ લાવ્યો હતો.
કોલકાતા યુનિવર્સિટી પર પહોંચ્યા બાદ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે આ કોલેજ પર ભાજપનો પૂર્વયોજિત હુમલો હતો. આ અપમાનને હું સહન કરીશ નહીં. કંઇ નહીં કરવાના અપમાનમાં જીવવા કરતાં મરી જવું વધુ સારું. આ પ્રકારની ઘટનાઓ નકસલી આંદોલન દરમિયાન પણ થઇ હતી. અમે તેમને છોડીશું નહીં. સામે પક્ષે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ પોતાના રોડ શો પર ટીએમસીના કાર્યકરો દ્વારા ઇંટ અને પથ્થરો ફેંકવાનો આક્ષેપ કર્યો હતો.