અમદવાદના કર્ણાવતી ક્લબમાં ગઈ કાલે ભાભીને નણંદ અને ભાણી-ભાણેજે અપશબ્દો બોલીને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કર્ણાવતી ક્લબમાં મહિલાને તેની નણંદ તથા ભાણી-ભાણેજે ફોટા કેમ પાડો છો તેમ કહીને જાહેરમાં ફેંટો મારીને ફટકારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. થલતેજ સુરધારા સર્કલ પાસે આવેલ મનિચંદ્ધ સોસાયટીમાં રહેતાં અને ડિઝાઈનર સ્ટુડિયોનું કામ કરતાં વૈશાલી પટેલે તેમની નણંદ ભૂમિકાબહેન અને ભાણેજ આર્યન તથા ભાણી અનેરી વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. વૈશાલીના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું અને વૈશાલી હાલમાં એસ જી હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબમાં મેમ્બરશિપ ધરાવે છે અને સાંજના સમયે કર્ણાવતી ક્લબમાં મિટિંગમાં ગયાં હતાં.
ગઈ કાલે કર્ણાવતી ક્લબમાં મિટિંગ હોવાથી સાંજે પાંચ વાગ્યાની આસપાસ મિટિંગમાં હાજર હતાં ત્યારે તેમનાં નણંદ અને ભાણી ભાણેજ પણ ક્લબના મેમ્બર હોવાથી તે પણ મિટિંગમાં જ હતાં.જ્યારે વૈશાલીના પતિનાં અવસાન થયા બાદથી જ નણંદ સાથે બનતું ન હતું. જેથી અવારનવાર કોઈને કોઈ કારણે વૈશાલી સાથે ઝગડો કરતાં હોય છે. વૈશાલી ગઈ કાલે સાંજે સાત વાગે કર્ણાવતી ક્લબમાં બગીચામાં હીંચકા પાસે મોબાઈલ લઈને ઊભી હતી. તે દરમિયાનમાં તેમની નણંદ અને ભાણી ભાણેજે આવીને કહ્યું કે અમારા ફોટા કેમ પાડે છે. જેથી વૈશાલીએ કહ્યું હતું કે તેણે કોઈ ફોટા પાડ્યા નથી આમ કહેતાં તેમની નણંદ એકદમ ઉશ્કેરાઈ ગઈ ને વૈશાલીને ગાળો બોલવા લાગી હતી. જોકે તેમને ગાળો બોલવાની ના પાડતા નણંદ અને તેમના દીકરા દીકરી વૈશાલી પર તૂટી પડ્યાં હતા અને જાહેરમાં ફેંટો મારીને ફટકારી હતી.
વૈશાલીએ બુમાબુમ કરતાં આસપાસના લોકો આવી જતાં વધુ માર મારતાં બચાવી લીધી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરતાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.