આપણા દેશમાં કેટલીક વખત એવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને એવો માહોલ બનાવી દેવામાં આવે છે કે જેનાથી અનેક આશંકાઓ અને ભયનું વાતાવરણ ફેલાય છે. લોકો રસ્તા પર ઊતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા લાગે છે.
CAAને લઈને દેશભરમાં વિરોધ
શાહીનબાગ બન્યું એપી સેન્ટર
કાયદા અંગેની સમજ આપવી એ સરકારની ફરજ છે
હિંસા, આગચંપી, તોડફોડ કે પછી જાહેર માર્ગો પર લાંબા લાંબા ધરણાં-પ્રદર્શન જોવા મળે છે. નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) સામે પણ ગયા વર્ષે દેશભરમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આસામ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં થયેલી હિંસામાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો.
શાહીનબાગ બન્યું એપી સેન્ટર
રાજધાની દિલ્હીમાં સીએએના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનનું કેન્દ્ર શાહીનબાગ બન્યો હતો. શાંતિપૂર્ણ ધરણાંમાં સામેલ થયેલા દાદીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા પણ મળી. સીએએ હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. જો કાયદાની સંભાવનાઓ અને આશંકાઓના આધારે જ આંદોલન થવા લાગશે તો પછી દેશને કાયદાથી ચલાવવો મુશ્કેલ બનશે.
કાયદા અમલી બનતા પહેલા એક વર્ષ કરતાં વધુ સમયનો વિલંબ
નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના નિયમો અને ઉપબંધોને જ તૈયાર કરવામાં હજુ બીજા પાંચ-છ મહિના લાગે તેમ છે. સંસદમાં પસાર કરવામાં આવેલા આ કાયદાને લાગુ કરવામાં એક વર્ષ કરતાં વધુ સમયનો વિલંબ થઈ ગયો છે. જ્યાં સુધી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)નો સવાલ છે તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી.
સીએએ અને એનઆરસી એકબીજા સાથે જોડાયેલા હોવાનો આરોપ વારંવાર થાય છે અને દાવો કરવામાં આવે છે કે, સીએએના અમલ બાદ એનઆરસી પણ લાગુ કરવામાં આવશે. આ કારણે જ અસલી વિવાદ શરૂ થયો છે અને હજુ પણ તે જારી જ છે. સરકારે હકીકતમાં તો સીએએમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ સમુદાયોના ગેરકાયદે પ્રવાસીઓ માટે ભારતની નાગરિકતાને આસાન બનાવી છે.
એનઆરસી મુદ્દે સરકાર વારંવાર કરી રહી છે ખુલાસા
એનઆરસી મુદ્દે પણ સરકાર વારંવાર ખુલાસા કરતી રહી છે છતાં પણ લઘુમતી સમાજના લોકોને ડર છે કે તેમને દેશની બહાર હાંકી કાઢવામાં આવશે. સીએએ અને એનઆરસી બંને આસામ અને પશ્ચિમ બંગાળ માટે ખૂબ સંવેદનશીલ મુદ્દાઓ છે. આસામમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓનો મુદ્દો હંમેશાં મહત્ત્વપૂર્ણ રહ્યો છે અને આ મુદ્દે મોટા આંદોલનો પણ થયાં છે. આમ છતાં પણ સ્થાનિકોના મનમાં હજુ આ કાયદાઓ માટે અસંતોષ અને ભય સાફ દેખાઈ રહ્યો છે, જે સરકારની હાર છે.કોરોના મહામારીના કારણે હાલ તો વિવાદાસ્પદ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના પ્રથમ તબક્કાને અને તેની સાથે સંકળાયેલી અન્ય ગતિવિધિઓને આગામી આદેશ ન થાય ત્યાં સુધી ટાળી દેવામાં આવ્યા છે.
સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે, જે કાયદાનું અંતિમ સ્વરૂપ પણ હજુ સુધી સામે નથી આવ્યું તેના વિરોધમાં સમગ્ર દેશમાં રીતસર આક્રોશ ફાટી નીકળ્યો હતો. સરકારે પણ ઉગ્ર વિરોધ અને રોષને જોઈને પોતાની યોજનાને થોડા સમય માટે અભરાઈએ ચઢાવવાનું મુનાસીબ માન્યું હતું. હકીકત એ પણ છે કે, સરકાર પોતાના જ બનાવેલા કાયદા લોકોને સમજાવી શકી નથી અને પરિણામે આ સ્થિતિ આવીને ઊભી છે. નાગરિકતા સંશોધન કાયદાથી કોઈની પણ નાગરિકતા જોખમમાં નહીં મૂકાય અને કોઈને દેશ છોડવાની ફરજ પાડવામાં નહીં આવે આટલી સરળ વાત પણ આ કાયદાનો વિરોધ કરનારા લોકોને સમજાવવામાં સરકાર સફળ રહી નથી.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ મુસ્લિમ રાષ્ટ્ર છે, આથી ત્યાં બહુમતી પણ મુસ્લિમોની જ છે. આ કારણે આ દેશોના નાગરિકોને ભારતમાં શરણ આપવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. કેટલાક ખાસ કિસ્સાઓમાં ભારતે મુસ્લિમોને પણ નાગરિકતા આપી છે. પ્રખ્યાત સિંગર અદનાન સામી આ વાતનું ઉદાહરણ છે.
સીએએ અને એનઆરસીને લઈને ભ્રમનું વાતાવરણ ઉભું કરાયું
સીએએ અને એનઆરસીને લઈને ભ્રમનું જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેને દૂર કરવા માટે સરકારે જ મેદાનમાં ઊતરીને લોકોને સમજાવવું પડશે.લોકોનાં ભલા માટે ઘડવામાં આવેલા કાયદાઓ અને તેમાં સમયાંતરે કરવામાં આવતા સંશોધનોના ફાયદાઓ સામાન્ય લોકોને ગળે ઊતારવા અને તેમના મનના કોઈ ખૂણે ધરબાયેલો ડર દૂર કરવો એ પણ સરકારની જ ફરજમાં આવે છે. •