આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી સફળતા મેળવ્યા બાદ હવે વિધાનસભા ચૂંટણીમાં પણ જંપલાવી શકે છે. ત્યારે આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે.
કેજરીવાલની હાજરીમાં ઈસુદાન ગઢવી આપમાં જોડાયા
ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.
ગુજરાતમાં બદલાવ લાવવાનો છે : ઈસુદાન ગઢવી
AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ. ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું છું. ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે સાથ આપે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ તેની સામે કોઈ વિકલ્પ ન હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 14, 2021
કેજરીવાલનું મોટું એલાન
રવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ગુજરાતમાં એવુ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસ સપ્લાય કરે છે. તો આ સાથે જ કેજરીવાલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગુજરાતની જનતા પરેશાન છે, વેપારીઓ ડરેલા છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 14, 2021
ગુજરાત પ્રવાસે છે અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં આપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઈ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે, જેને લઈને પણ અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે આવવાના છે ત્યારે કેટલાક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે.
VTVના એડિટર પદેથી તાજેતરમાં જ લીધી છે ઈસુદાન ગઢવીએ વિદાય
VTVના એડિટર ઈસુદાન ગઢવીએ VTVમાંથી વિદાય લીધી છે. ઈસુદાન ગઢવીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા 5 વર્ષથી VTV NEWSના એડિટર પદે ફરજ નિભાવનાર ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ મહામંથનથી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. તેઓ છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. હવે તેઓ પત્રકારત્વની પોતાની 16 વર્ષની કારકિર્દી છોડીને હવે નવા લક્ષ્યાંકો તરફ આગેકુચ કરવા જઈ રહ્યા છે.