સ્વતંત્રતા દિવસ અગાઉ ભારતની યશકલગીમાં ઉમેરો કરતાં ISRO દ્વારા વધુ એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે, જાણો તમામ વિગતો
12 ઓગસ્ટના રોજ સવારે 5:43 વાગ્યે થશે જીસેટ-1 લોન્ચ
EOS-03 રાખવામાં આવ્યું છે ઉપગ્રહનું કોડનેમ
દિવસમાં 4-5 વખત સમગ્ર દેશનું નિરીક્ષણ કરશે EOS-3
સ્વતંત્રતા દિવસ 2021ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ભારત 12 ઓગસ્ટના દિવસે જેની ઘણાં સમયથી રાહ જોવાઈ રહી છે તે જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1 લોન્ચ કરશે.
પૃથ્વી પર નિરીક્ષણ કરનાર જીસેટ-1ને GSLV-F10 દ્વારા 12 ઓગસ્ટના રોજ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન (ISRO) ના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહનું કોડનેમ EOS-03 રાખવામાં આવ્યું છે.
કોરોના મહામારીને કારણે ઉપગ્રહ લોન્ચ કરવામાં ન્હોતો આવ્યો
ISROએ જણાવ્યા અનુસાર, આ ઉપગ્રહનું લોન્ચિંગ 12 ઓગસ્ટના રોજ સવારે 5:43 વાગ્યે કરવામાં આવશે. જોકે તે હવામાન પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. EOS-03 એક અત્યંત અદ્યતન ઉપગ્રહ છે, જે GSLV F10 વાહનની મદદથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. કોવિડ -19 મહામારીને કારણે હજી સુધી આ ઉપગ્રહનું લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. અગાઉ 28 ફેબ્રુઆરી 2021ના રોજ ISROએ 18 નાના ઉપગ્રહોને પણ લોન્ચ કર્યા હતા. તેમાં દેશી અને વિદેશી ઉપગ્રહ પણ શામિલ હતા.
દિવસમાં 4-5 વખત સમગ્ર દેશનું નિરીક્ષણ કરશે EOS-3
અંતરિક્ષ વિભાગના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે તાજેતરમાં સંસદમાં દાવો કર્યો હતો કે EOS-3 દિવસમાં 4-5 વખત સમગ્ર દેશનું નિરીક્ષણ કરવા માટે સક્ષમ છે. તે પાણીના સ્ત્રોતો, પાક, વનસ્પતિની સ્થિતિ અને વન આવરણના ફેરફારો પર નજર રાખવા માટે સક્ષમ છે. તે પૂર અને ચક્રવાત વિશે સચોટ માહિતી પણ આપશે.એક રિપોર્ટ અનુસાર, પ્રથમ વખત રોકેટમાં 4 મીટર વ્યાસના ઓગિવ આકારના પેલોડ ફેરિંગ (હીટ શીલ્ડ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉપગ્રહમાં 6-બેન્ડ મલ્ટિસ્પેક્ટ્રલ વ્યૂ અને નિયર-ઇન્ફ્રા-રેડના 42-મીટર રિઝોલ્યુશન પેલોડ ઇમેજિંગ સેન્સર હશે.
જીસેટ -1 બાદ વધુ બે ઉપગ્રહ કરવામાં આવશે લોન્ચ
જીસેટ -1 ના લોન્ચિંગ બાદ ભારત EOS-4 અથવા રીસેટ-1Aના લોન્ચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે એક રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે. તે દિવસે અને રાતે તસવીરો લઇ શકે છે. સમગ્ર દિવસ દરમિયાન અને તમામ હવામાન પરિસ્થિતિઓમાં સરખી રીતે ફરવાની ક્ષમતાના આધાર પર આ ઉપગ્રહ દેશના સંરક્ષણમાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે.