ISRO દ્વારા રોકેટ 'GSLV Mk-III- D2'ની મદદથી દેશનો ૩૩મો સંદેશાવ્યવહાર ઉપગ્રહ 'GSAT-29' સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો.
3423 કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ ભારતે અત્યાર સુધીમાં લૉન્ચ કરેલો સૌથી ભારે ઉપગ્રહ છે. GSLV Mk-III- D2એ GSLV સીરિઝનું સૌથી કદાવર અને આધુનિક રોકેટ છે.
ગઇકાલે તેણે બીજી વખત ઉડાન ભરી હતી. ભવિષ્યમાં આ રોકેટનો ઉપયોગ સમાનવ અવકાશયાત્રા માટે કરવાનું ભારતનું આયોજન છે. સાંજે 5:08 કલાકે શ્રીહરિકોટા મથકેથી લૉન્ચ થયા પછી ૧7મી મિનિટે ઉપગ્રહને જીઓસિન્ક્રોનસ (ભૂ-સ્થિર) કક્ષામાં મુકી દેવામાં આવ્યો હતો.
ઉપગ્રહ યોગ્ય કક્ષામાં ગોઠવાઈ જશે પછી ઈસરોનું હાસન સ્થિત કન્ટ્રોલ મથક તેની નિયમિત દેખરેખ રાખશે. જેના દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો એ રોકેટ GSLV ૩ તબક્કાનું છે અને તેનું વજન 641 ટન છે. ભારત 2000 કિલોગ્રામ કરતા વધારે મોટા ઉપગ્રહો લૉન્ચ કરી શકે એટલા માટે જ આ રોકેટ વિકસાવાયું છે. આ પ્રકારનું રોકેટ વિકસાવવું ISRO માટે મોટી ચેલેન્જ હતી. આખરે એ ચેલેન્જ ઈસરોના વિજ્ઞનીઓએ પાર પાડી દેખાડી છે.
GSAT-29 કમ્યુનિકેશ ઉપગ્રહ હોવાથી તેનો મુખ્ય ઉપયોગ કાશ્મીર અને નોર્થ ઈસ્ટના અંતરિળાય વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસ પૂરી પાડવા માટે કરવામાં આવશે. આ ઉપગ્રહને જાણકારો 'જીઓ-આઈ' તરીકે ઓળખાવે છે કેમ કે કમ્યુનિકેશ સાથે એ દુશ્મન જહાજો પર પણ નજર રાખશે. જીઓ-આઈ એ હકીકતે અમેરિકન સેટેલાઈટ સિસ્ટમનું નામ છે.
સફળતાપૂર્વક લૉન્ચિંગ પછી ઈસરોના ચેરમેન કે.સિવાને કહ્યું હતુ કે આ ભારેખમ રોકેટને સફળતાપૂર્વક ઊંચે ચડાવીને ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વજનદાર રોકેટ લોન્ચ કરવું એ પણ એક મોટો પડકાર છે અને દુનિયાના બહુ ઓછા દેશો પાસે એવી સિદ્ધી છે. 13 માળ ઊંચુ આ રોકેટ આગામી 15 વર્ષ સુધી ભારતના અનેક મહત્ત્વપૂર્ણ મિશન લોન્ચ કરશે. નજીકના ભવિષ્યમાં જ ચંદ્રયાન-૨ના લૉન્ચિંગની જવાબદારી GSLV રોકેટના શીરે આવવાની છે.
તાજેતરમા થયેલું લૉન્ચિંગ હરિકોટા મથકેથી થયેલું 67મું લૉન્ચિંગ હતુ. આ સફળતા માટે વડા પ્રધાન સહિતના મહાનુભાવોએ ઈસરોને અભિનંદન આપ્યા હતા. ૨૦૨૨માં ભારત સમાનવ અવકાશ મિશન યોજે એવી સરકારે જાહેરાત કરી દીધી છે. એ માટે પણ આ રોકેટ જ વપરાશે.