ચંદ્રયાન ૨ની ચર્ચા પાછળ મંગળયાન ભુલાયું હોય તેવો ઘાટ ઘડાયો છે. મંગલયાનના મુખ્ય ડીરેક્ટર એમ અન્નાદુરાઈને ઈસરોએ ચંદ્રયાન ૨ના લેન્ડિંગ વખતે આમંત્રણ પણ ન આપતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
ઈસરોના પૂર્વ અધિકારી એમ. અન્નાદુરાઈ મંગલયાન મીશન સાથે જોડાયેલા હતા, ચન્દ્રયાન ૧ ના તેઓ પ્રોજેક્ટ ડીરેક્ટર હતા. અને રીટાયર થયા ત્યાં સુધી તો ચંદ્રયાન ૨ ના મીશન ડીરેક્ટર પણ હતા.
તેઓનો કાર્યકાળ પૂરો થઇ ગયો ત્યારપછી ઈસરોએ ચંદ્રયાન ૨ને લગતા કોઈ પણ પ્રસંગમાં અન્નાદુરાઈને યાદ નથી કર્યા. ઇકોનોમિક ટાઈમ્સએ કહ્યું કે અન્નાદુરાઈ હવે ઈસરો માટે સ્વાગત કરવા યોગ્ય વ્યક્તિ નથી રહ્યા.
૬-૭ સપ્ટેમ્બરની રાત્રીએ જયારે ઈસરો ચંદ્રયાન ૨ ના લેન્ડિંગની પ્રતીક્ષા કરી રહ્યું હતું ત્યારે હાજર લોકોમાં અનેક નિવૃત અધિકારીઓ પણ હાજર હતા. એવો નિયમ છે કે આવી મોટી ઈવેન્ટ્સ વખતે ઈસરો સાથે સંલગ્ન નિવૃત અધિકારીઓને પણ ટેક ઓફ અને લેન્ડિંગ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ સમયે હાજર રાખવામાં આવે છે. જો કે અન્નાદુરાઈ આ ઇવેન્ટમાં હાજર નહોતા.
સમાચાર એજન્સી INAS સાથેની વાતચીતમાં અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે ઈસરોના સેન્ટરમાં વિક્રમ લેન્ડરના લેન્ડિંગ માટે તેઓને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
ઈસરો સાથે ૧૯૮૨થી જોડાયેલ અન્નાદુરાઈ ઈસરોના લગભગ તમામ મોટા મીશન્સમાં જોડાયેલા હતા. તમામ ઇન્સેટ મીશન, જીસેટ મીશન, મંગલયાન મીશન, ચંદ્રયાન ૧ મીશન, ચંદ્રયાન ૨ મીશન વગેરેમાં તેઓ સક્રિય હતા. ૨૦૧૮માં ઈસરોથી રીટાયર થઈને તેઓ તમિલનાડુ કાઉન્સિલ ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી ડીવીઝનના ઉપનિર્દેશક બનાવ્યા હતા.
અન્નાદુરાઈ કેમ ઈસરોથી અળખામણા થઇ ગયા છે તે વિષે કોઈ ખબર હજુ સુધી મળી શકી નથી. પરંતુ અત્યારે એમ લાગે છે કે ઈસરોના સૌથી કુશળ એન્જીનીયરને હવે ઈસરોથી છેટા રાખવામાં આવે છે અને ઈસરોમાં કામ કરતા અથવા નિવૃત કોઈ કર્મચારીઓ આનું કારણ જાણી શક્ય નથી.