ઇઝરાયલમાં એક ચૂંટણી બેનર સામે આવ્યું છે, જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સમકક્ષ બેન્ઝામિન નેતન્યાહૂનો ફોટો લાગેલો છે. ઇઝરાયલના પત્રકાર અમીચાઇ સ્ટેને રવિવારે આ બેનરનો ફોટો પોસ્ટ કર્યો.
આ બેનર એક બિલ્ડિંગ બહાર લાગેલું દેખાઇ રહ્યું છે. આ પ્રકારના બે અન્ય બેનર્સ પણ આ બિલ્ડિંગની બહાર લગાવવામાં આવ્યા છે. જેના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નેતન્યાહૂ સાથે તસવીર છે. આ ફોટોના કેપ્શનમાં સ્ટેને લખ્યું છે કે નેતન્યાહૂની ચૂંટણી પ્રચારમાં પુતિન, ટ્રમ્પ અને મોદી.
ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરે સામાન્ય ચૂંટણી થવાની છે અને આ બેનર્સ જણાવી રહ્યા છે કે નેતન્યાહૂ વૈશ્વિક નેતાઓ સાથે ઇઝરાયલના સંબંધ સારા બનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સૌથી લાંબા સમય સુધી ઇઝરાયલના પ્રધાનમંત્રી રહેનારા નેતા બની ગયા છે. પરંતુ તેમને મે મહિનામાં યોજાયેલ સામાન્ય ચૂંટણીઓના પરિણામોમાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સરકાર બની ન શકી. નેતન્યાહૂ ગઠબંધન નહોતા બનાવી શક્યા. ત્યારબાદ ઇઝરાયલની સંસદ નેસેટે દેશમાં ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો. જેના માટે અહીં બીજી વખત ચૂંટણી કરાવવામાં આવી રહી છે.
ભારત અને ઇઝરાયલના સંબંધ બહુ સારા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેન્ઝામિન નેતન્યાહૂ બહુ નજીકના મિત્રો છે. બન્ને દેશોના આ વર્ષમાં આર્થિક, સૈન્ય, વ્યૂહાત્મક સંબંધો ઘણા ઊંચા સ્તરે પહોંચી ગયા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી, ત્યારે વૈશ્વિક નેતાઓમા સૌથી વધુ બેન્ઝામિન નેતન્યાહૂએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નેતન્યાહૂ 9 સપ્ટેમ્બરે સામાન્ય ચૂંટણી પહેલા ભારત પ્રવાસે આવશે. તેમનો આ પ્રવાસ ઇઝરાયલમાં થનાર સામાન્ય ચૂંટણી પહલા પ્રસ્તાવિત છે. આ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી પીએમ કેટલાક કલાકો માટે ભારત રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ એક બિઝનેસ મીટિંગ પણ હોઇ શકે છે.