કોલંબોઃ શ્રીલંકામાં રવિવારે થયેલા િસરિયલ બ્લાસ્ટ પાછળ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો હાથ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કેટલીક ચેનલો દ્વારા ત્રણ કથિત આત્મઘાતી હુમલાખોરોની તસવીરો જારી કરવામાં આવી છે, જે આઈએસઆઈએસના ચુસ્ત સમર્થક હોવાનું કહેવાય છે. ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટરના દિવસે જ શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત ત્રણ શહેરોમાં ચર્ચ અને હોટલો પર કરવામાં આવેલા હુમલામાં ૩૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ત્રણ કથિત આત્મઘાતી હુમલાખોરોનાં નામ અબુલ બર્રા, અબુલ મુખ્તાર અને અબુ ઉબેદા હોવાનું બહાર આવ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ હાલ અમાક જેવા આઈએસનાં મુખપત્ર દ્વારા હુમલાની જવાબદારી કોણ લે છે તેનાં પર નજર રાખી રહી છે. એજન્સીઓનો દાવો છે કે આ ત્રણ ઉપરાંત જાહરાન હાશિન નામનો નેશનલ તવાહિદ જમાતનો ઓપરેટિવ પણ બ્લાસ્ટમાં સંડોવાયેલો છે.
મંગળવારનાં રોજ આતંકી સંગઠને પોતાની અમાક ન્યૂઝ એજન્સીને આધારે આ હુમલાની જવાબદારી લીધી છે. એવામાં રવિવારનાં રોજ સેંટ સેબેસ્ટિયન ચર્ચમાં ઘુસતા જ એક શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ વીડિયોમાં શંકાસ્પદ હુમલાખોર એક બૈકપેક લઇને જતો દેખાય છે.
#WATCH Colombo: CCTV footage of suspected suicide bomber (carrying a backpack) walking into St Sebastian church on Easter Sunday. #SriLankaBombings (Video courtesy- Siyatha TV) pic.twitter.com/YAe089D72h
દરમિયાન અમેરિકાએ શ્રીલંકામાં થયેલા ઘાતક બોમ્બ બ્લાસ્ટ માટે ‘ઈસ્લામી કટ્ટરવાદી આતંકવાદ’ને જવાબદાર ઠેરવ્યો છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરતાં સંકલ્પ જાહેર કર્યો હતો કે અમેરિકા ‘કટ્ટરપંથી ઈસ્લામી આતંક’ અને તેનાથી પેદા થયેલા ‘દુષ્ટ માણસો’ સાથે લડવાનું જારી રાખશે. તેમણે કહ્યું કે જે દિવસ ઈસ્ટર જેવા ખુશીના તહેવારનો હતો તે ઈસ્લામી કટ્ટરપંથી આતંકના કારણે માતમમાં બદલાઈ ગયો.
પોમ્પિયોએ જણાવ્યું કે અમેરિકા કટ્ટરપંથી ઈસ્લામી આતંક સાથે લડવાનું ચાલુ રાખશે. ખેદની વાત એ છે કે આ પ્રકારનાં નકારાત્મક તત્ત્વો હજુ પણ દુનિયામાં છે. આ અમેરિકાની પણ લડાઈ છે, માત્ર શ્રીલંકાની નથી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં ૩૦થી વધુ વિદેશી નાગરિકોનાં પણ મોત થયાં હતાં, જેમાં આઠ ભારતીય અને બે અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે.
શ્રીલંકામાં બ્લાસ્ટ ન્યૂઝીલેન્ડમાં મસ્જિદ પર હુમલાનો બદલો હતોઃ
તપાસ એજન્સીઓ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં કરવામાં આવેલા િસરિયલ બ્લાસ્ટ એ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની મસ્જિદ પર થયેલા હુમલાનો બદલો હોવાની પૂરી આશંકા છે. ન્યૂઝીલેન્ડનો બદલો લેવા માટે ઈસ્લામિક કટ્ટરવાદી આતંકીઓએ એવા દેશ શ્રીલંકાની પસંદગી કરી, જ્યાં આતંકવાદી હુમલો થાય તેવું કોઈ વિચારી પણ શકતું ન હતું.
આતંકીઓ ઘણાં સમયથી એકસાથે આટલી મોટી સંખ્યામાં ચર્ચ અને વિદેશી પ્રવાસીઓ હોય તેવા સ્થળની તલાશમાં હતા. શ્રીલંકાના યુવાનો િસરિયા કે ઈરાક જઈને આતંકી સંગઠન આઈએસઆઈએસમાં જોડાય છે અને તાલીમ લે છે તેના કોઈ પુરાવા મળ્યા નથી પણ ગુપ્તચર એજન્સીઓને આ વાતની ખાતરી છે. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં મુખ્ય ટાર્ગેટ ખ્રિસ્તી સમુદાયના લોકો જ હતાં.