ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હોળીની સંધ્યાએ ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઍટેક કરીને તોડફોડની ઘટના સામે આવી છે.
બાંગ્લાદેશમાં ફરી મંદિર પર હુમલો
હોળીના દિવસે કૃષ્ણ ભગવાનના મંદિરમાં તોડફોડ
લૂંટ મચાવીને અસામાજિક તત્વો ફરાર
બાંગ્લાદેશમાં ફરી હિન્દુ મંદિરને લેવાયું નિશાને
પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર હુમલાઓના અનેક વાર સમાચાર આવતા જ હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી બાંગ્લાદેશમાં પણ હિન્દુ મંદિરો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. હોળીના પાવન દિવસે પણ બાંગ્લાદેશની રાજધાનીની અંદર જ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર રાધાકાન્ત મંદિર પર ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ISKCON Radhakanta temple in Bangladesh's Dhaka vandalised yesterday. More details awaited.
ભીડે કર્યો હુમલો
રિપોર્ટ અનુસાર, આ ઈસ્કોન મંદિર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં બનેલું છે. ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હાજી સૈફુલ્લાની આગેવાનીમાં 200 થી વધુ લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ટોળાએ મંદિરમાં પણ લૂંટ ચલાવી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર કેટલાક લોકોએ મારપીટ પણ કરી હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. હુમલામાં સુમંત્ર ચંદ્ર શ્રવણ, નિહાર હલદર, રાજીવ ભદ્ર અને અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા હતા.
નવરાત્રિમાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ હતી
નોંધનીય છે કે ગયા વર્ષે પણ નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલો થયો હતો. આ દરમિયાન અનેક મંદિરો પર હુમલા પણ થયા હતા. આ હિંસામાં 2 હિંદુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકાના ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. બાંગ્લાદેશની કુલ વસ્તી 165 મિલિયન છે. જેમાં હિન્દુ લોકોની સંખ્યા લગભગ 9 ટકા છે. છેલ્લા 3-4 વર્ષમાં હિંદુઓ પર હુમલાના કિસ્સા વધી ગયા છે. કેટલાક કટ્ટરપંથીઓ સતત આવા હુમલા કરી રહ્યા છે.
અનેક વાર થાય છે હુમલા
બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારો પર કામ કરતી સંસ્થા AKS અનુસાર, છેલ્લા 9 વર્ષમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર 3,679 હુમલા થયા છે. આ દરમિયાન ધાર્મિક સ્થળોમાં તોડફોડ અને સશસ્ત્ર હુમલાના 1678 મામલા સામે આવ્યા હતા. આ સિવાય અવારનવાર હિંદુ સમુદાયને નિશાન બનાવીને ઘરોમાં તોડફોડ અને આગચંપી સહિતના હુમલાઓ થતા હતા.