શ્રીનગર: જાણીતી જામિયા મસ્જિદની બહાર ISISના ઝંડા લહેરાવતા અસમાજિક તત્વોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રમઝાનની સૌથી પવિત્ર રાત્રીએ આ ઝંડો લહેરાવતા લોકો નજરે પડી રહ્યાં છે. જમ્મૂ કશ્મીરના DYSP મહોમ્મદ અય્યુબ પંડિતના ખુની સજ્જાદ ગીલકરની તરફેણમાં આ આતંકીઓ નારાઓ લગાવી રહ્યાં છે.
અય્યુબ પંડિતની આ મસ્જિદ સામે જ ટોળાએ હત્યા કરી હતી. તેના મુખ્ય આરોપી સજ્જાદ ગીલકરની તરફેણમાં આ આતંકીઓ નારા લગાવી રહ્યાં હતા. સજ્જાદ ગીલકરને સેનાએ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. વીડિયોમાં હિઝબુલ મુજાહિદ્દીના કમાંડર ઝાકીર મુસાનું પણ નામ લે છે.
'કશ્મીર મેં રહના હૈ તો મુસા મુસા કહના હૈ' આ પ્રકારના નારાઓથી આતંકીઓ કશ્મીરનું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મંગળવારે રમજાનની સૌથી પવિત્ર રાત્રી હતી અને તે સમયે જ ISISનો ઝંડો લહેરાવીને સુત્રોચ્ચાર કરતા આતંકીઓને કારણે કશ્મીર પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
આપને જણાવી દઇએ કે ઝંડો ફરકાવવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ કાશ્મીરના કેટલાક પ્રદેશોમાં અમુક અસામાજિક તત્વો દ્વારા ISISનો ઝંડો ફરકાવવામાં આવેલ છે. ત્યારે તાજતેરમાં વધુ એક ઘટના બનવા પામી હતી. જેમાં શ્રીનગરની જાણીતી જામિયા મસ્જિદ બહાર ISISનો ઝંડો ફરકાવતા અસામાજિક તત્વોનો એક VIDEO વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બનેલ. જો કે આ ઝંડો કોના દ્વારા લહેરાવવામાં આવ્યો અને કોના કહેવાથી લહેરાવવામાં આવ્યો તે અંગે આ લખાઇ રહ્યું છે ત્યારે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી.