ભારતીય ટીમના યુવા ઓપનર ઈશાન કિશને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે ચટગાંવ વનડેમાં 210 રનની તાબડતોડ બેવડી સદી રમી હતી. ત્યારબાદ ઈશાન બેટીંગમાં શાંત છે, જે ઈશાનનુ ટેન્શન વધારી શકે છે.
ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ચટગાંવ વનડેમાં તાબડતોડ બેવડી સદી રમી
ડબલ સદી ફટકાર્યા બાદ ઈશાનની બેટીંગની આગ બુજાઈ ગઈ
ઈશાનનો કંગાળ દેખાવ ટેન્શન વધારી શકે
ઈશાનની શાંત બેટીંગ ટેન્શન વધારી શકે છે
ભારતીય ટીમમાં ઈશાનને સતત તક મળી રહી છે અને તેમને હવે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ પણ રમવી છે. રમત-જગતના દિગ્ગજો અને પ્રશંસકોએ ઈશાનના ખૂબ વખાણ કર્યા હતા. ઈશાને આ સિદ્ધી ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે વન-ડે મેચમાં પ્રાપ્ત કરી હતી. પરંતુ લાગે છે કે આ ડબલ સદી ફટકાર્યા બાદ ઈશાનની બેટીંગને કોઈની નજર લાગી ગઈ અથવા પછી તેની આગ બુજાઈ ગઇ.
જેનુ કારણ છે કે આ બેવડી સદી કર્યા બાદ ઈશાન અર્ધસદી પણ બનાવી શક્યા નથી. જ્યારે ત્યારબાદ ઈશાને 9 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં કુલ મળીને પણ 100 રનનો આંકડો પાર કરી શક્યા નથી. એવામાં ઈશાનને લઇને ક્રિકેટ પ્રેમીઓ અને દિગ્ગજો પણ હેરાન છે.
બાંગ્લાદેશ સામે ફટકારી હતી બેવડી સદી
ઈશાનને બાંગ્લાદેશ પ્રવાસ વખતે એક જ વન-ડે મેચમાં તક મળી હતી. આ ચટગાંવ વનડેમાં ઈશાને 131 બોલમાં 210 રનની આક્રમક બેવડી સદી ફટકારી હતી. ઈશાને પોતાની આ ઈનિંગમાં 10 છગ્ગા અને 24 ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યાં હતા. તેમનો સ્ટ્રાઈક રેટ 160.30નો રહ્યો હતો.
તક મળી, પરંતુ પર્ફોમન્સ કશુ જ નહીં
પરંતુ આ ઈનિંગ બાદ ઈશાન કિશનને શ્રીલંકા સામે વન-ડે શ્રેણીમાં કોઈ તક ના મળી. અહીં લોકોને આ વાત થોડી અજબ લાગી. પરંતુ શ્રીલંકા સામે ટી20 શ્રેણીમાં ઈશાનને તક મળી પરંતુ બેટીંગમાં ખાસ કશુ થયુ નહીં. પરંતુ ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામે ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઈશાનને તક મળી તો તેમની પાસે ફરી આશા જાગી, પરંતુ આ બેમાની સાબિત થઇ.