જ્યાં પાકા રસ્તા, સ્ટ્રટીલાઈટ, મંદિર, શાળા અને ગૌશાળા જેવી અનેક સુવિધાઓ અરે ત્યાં સુધી કે સીસીટીવી કેમેરાની સુવિધા શેરીએ શેરીએ હોય અને જ્યાં 200 જેટલા નાગરિકો નિવાસ કરતા હોય તેને તમે ગામ ગામ કહેશો? તમે કહેશો હા. પરંતુ સરકારી રેકર્ડ પર તેને હજુ ગામનો દરજો મળ્યો નથી. તો કયુ છે એ ગામ જે સુવિધાની દ્રષ્ટીએ મોટા ગામને પણ હંફાવે છતાં સરકારી રેકર્ડ પર ન હોય તેની ઓળખ. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
જામનગર જિલ્લાના સચાણા નજીક આવેલુ આ છે ઈશરધામ ગામ. આ ગામની અનેક વિશેષતાઓના કારણે ગામને અનોખા ગામની ઓળખ મળી છે. 2001માં ભુકંપના બીજા જ દિવસે સચાણા ગામના જ કેટલાક ગઢવી પરીવારે સચાણાથી થોડે દૂર 26 ઘરનું ગામ વસાવ્યું હતું. ગઢવી પરીવારનાં સંતશ્રી ઈશરદાસજીનાં નામથી ગામનું નામ ઈશરધામ રાખવામાં આવ્યું. હાલ ગામમાં માત્ર 26 મકાન છે અને આશરે 200 લોકોની વસ્તી ધરાવે છે. જો કે ગામમાં એક પાન-મસાલાની એક પણ દુકાન નથી. એટલે વ્યસનનો પ્રશ્ન જ નથી. ગઢવી પરિવારના સંતશ્રી ઈશરદાસજીનું એક મંદિર છે અને તેના સાંનિધ્યમાં જ એક જ ગઢવી પરિવારનુ ગામ વસ્યું છે. જેથી અહીં ગામમાં પરિવાર નહીં, પરંતુ પરિવારનું ગામ છે તેમ કહી શકાય.
ભૂકંપનો માર વેઠેલા સચાણાના એક ગઢવી વડીલે પોતાની અલાયદી સંસ્કૃતિના રક્ષણ માટે પોતાની 16 વિધા જમીન પોતાના બહોળા કુંટુંબને અર્પણ કરી દીધી. ત્યાર બાદ પરિવારજનોએ સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી. બે હજાર ફૂટના 26 પ્લોટને સરખેભાગે વિભાજિત કર્યા ત્યાર બાદ સચાણા ગામના સીમ વિસ્તારમાં 16 વીઘામાં વસાવ્યું ઇસરધામ ગામ. અહીં ગૌશાળા અને પક્ષીઓ ચબુતરો પણ છે તો પાણીની પરબ અને પશુઓ માટે અલગથી અવાડો પણ બનાવાયો છે. તો બાળકો માટે શાળા તેમજ ઈશરધામના નામે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું.
ગ્રામ્ય પંથકમાં વધતા જતા ચોરી અને અન્ય ગુનાખોરીના બનાવોને લઇને પણ ગ્રામજનોએ વિચાર કર્યો છે. ગ્રામના યુવાનોએ ગામની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનુ નક્કી કર્યુ અને ગામમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા. ગામમાં આવતા તમામ રસ્તા અને શેરીઓમાં રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવા માટે 16 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે અને ત્રણ કંટ્રોલરૂમ ઘરમાં રાખવામાં આવ્યા છે. ગામ દરિયા કિનારાથી નજીક આવેલુ છે. તેથી સંવેદનશીલ વિસ્તારમાં કોઈ ધૂસણખોરી કે અન્ય બનાવ ન બને તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ઈસરધામ ગામમાં બધી શેરીઓ અને રસ્તાઓ સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યાં છે. જ્યારથી ગામ સીસીટીવીથી સજ્જ થયું છે ત્યારથી હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
ઈશરધામ ગામ આદર્શ ગામના તમામ માપદંડો પૂરા કરે છે. પરંતુ વહીવટી કારણસર હજુ સુધી ઈસરધામને ગામનો દરજ્જો મળ્યો નથી. આ આ ગામ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ સંયુક્ત ગ્રામ પંચાયતમાં આવે છે કદાચ ભવિષ્યમાં વસતિના માપદંડો પૂરા થતાં આ ઈસરધામને ગામનો દરજ્જો પણ મળી શકે છે. આશા રાખીયે ત્યારે પણ આ ગામના લોકોની એકતા અને સાંસ્કૃતિક વૈભવ અકબંધ જળવાઈ રહે.