જિયા ખાનના મૃત્યુ સાથે જોડાયેલા પુરાવાઓ પર પણ સુરજે વાત ટાળી
મનોવૈજ્ઞાનિકે સૂરજના ઈન્ટરવ્યુ પર ફોરેન્સિક તપાસ હાથ ધરી
અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અભિનેત્રીના મૃત્યુને 9 વર્ષ વીતી ગયા છે પરંતુ આજદિન સુધી આ કેસનો ભેદ ઉકેલાયો નથી. તાજેતરમાં જ જિયાની માતા રાબિયા ખાને ખુલાસો કર્યો હતો કે, જિયાના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જિયાના મૃત્યુ પછી ખબર પડી કે, સૂરજ અને જિયા એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ બાદમાં બ્રેકઅપ થઈ ગયું. આ તરફ હવે આ કેસમાં નવા અપડેટ્સ સામે આવ્યા છે.
જિયા ખાનના આત્મહત્યા કેસ પર કોર્ટે કહ્યું કે, 22 ઓગસ્ટે ફરી એકવાર રાબિયા ખાનની ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવશે. આ સાથે CFSLના ક્લિનિકલ સાયકોલોજિસ્ટે સ્પેશિયલ કોર્ટમાં સૂરજ પંચોલી વિશે નવી વાત કહી છે. સાઈકોલોજિસ્ટના કહેવા પ્રમાણે, ઈન્ટરવ્યુમાં સૂરજ પંચોલી કંઈ કહેવા તૈયાર ન હતા, સાઈકોલોજિસ્ટને શંકા છે કે, સૂરજ ઘણું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે ઘણી મહત્વની બાબતો પર પણ મૌન હતો. જિયા ખાનના આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી જામીન પર બહાર છે.
શું કહેવું છે સાયકોલોજિસ્ટનું ?
સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના વરિષ્ઠ મનોવૈજ્ઞાનિકે સૂરજના ઈન્ટરવ્યુ પર ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી. જેનો રિપોર્ટ તેણે સીબીઆઈ કોર્ટમાં સુપરત કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ઈન્ટરવ્યુમાં સૂરજ નકલી વાતો કરી રહ્યો હતો. જિયા ખાનના મૃત્યુ સાથે જોડાયેલા પુરાવાઓ પર પણ તે અન્ય વાતો કરીને ટાળતો હતો. તેણે જે રીતે વાત કરી તે પરથી સ્પષ્ટ હતું કે, તે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર સૂરજ જાણે છે કે જિયાની આત્મહત્યા પાછળનું સત્ય શું છે.
એક્ઝામિનરના રિપોર્ટ અનુસાર સૂરજને પૂછવામાં આવ્યું કે, સંબંધ તૂટવાનું સાચું કારણ શું છે ? કારણ કે કોઈ પણ સંબંધ રાતોરાત તૂટતો નથી. તેની પાછળ ઘણી બાબતો છે. આ સવાલ પર સૂરજે ખૂબ જ અસ્પષ્ટ જવાબ આપ્યો હતો. તે ચૂપ થઈ ગયો હતો. તેણે માથું નમાવ્યું હતું. તે સ્પષ્ટ હતું કે, સૂરજ તેની જિયા અને નફીસા સાથેની છેલ્લી વાતચીત છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે કદાચ જીયાના મોતનું રહસ્ય ખોલી શકે છે. આ ઈન્ટરવ્યુ 2015માં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મનોજ ચલાદાન હેઠળ લેવામાં આવ્યો હતો. ક્લિનિકલ સાયકોલોજિસ્ટે આ રેકોર્ડિંગ પર પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે.
જિયા ખાને 2013માં ફાંસી લગાવીને આત્મહત્યા કરી
બોલિવૂડ અભિનેત્રી જિયા ખાને 3 જૂન 2013ના રોજ પોતાના જુહુ એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુ બાદ જ તેમના એપાર્ટમેન્ટમાંથી 6 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. આ નોટ માત્ર સૂરજ પંચોલીના નામે હતી. આ નોટમાં જિયાએ સૂરજ સાથે બગડતા સંબંધો, તૂટવા અને પ્રેમ વિશે ઘણી વાતો લખી હતી. સીબીઆઈ હાલ આ મામલે તપાસ કરી રહી છે.