રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વચ્ચે ભારત સરકારના એક આદેશથી મોટા સંકેત મળી રહ્યા છે. છેલ્લા 8 મહિનાથી રશિયા-યુક્રેન યુધ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. યુક્રેનના વળતા હુમલાથી હતાશ થઈને રશિયા હવે તેને નષ્ટ કરવા માટે મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હુમલાઓમાં યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે અને ડઝનબંધ લોકોના મોત થયા છે. સ્થિતિ બગડતી જોઈને હવે ભારતે યુક્રેનમાં રહેતા ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવાની એડવાઈઝરી જાહેર કરી છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, 'યુક્રેનમાં કથળતી સુરક્ષા સ્થિતિ અને યુદ્ધની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને યુક્રેનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોએ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરીને વહેલામાં વહેલી તકે યુક્રેન છોડવું જોઈએ.
મહત્વનું છે કે, રશિયાને ક્રિમિયા સાથે જોડતા પુલ પર યુક્રેન તરફથી થયેલા હુમલા બાદ રશિયા ચોંકી ગયું છે. ત્યારથી તે યુક્રેન પર ઝડપી મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર રશિયા આ હુમલાઓમાં ઈરાન પાસેથી ખરીદેલા કામિકેઝ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન તેમના લક્ષ્ય સુધી પહોંચ્યા પછી ભારે વિસ્ફોટકો સાથે તૂટી પડે છે. આનાથી ચિહ્નિત લક્ષ્ય પર ભારે વિનાશ થાય છે. આ હુમલાઓ દ્વારા યુક્રેનિયન પાવર પ્લાન્ટ, સરકારી કચેરીઓ અને અન્ય માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવામાં આવી રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માર્શલ લોમાં હસ્તાક્ષર કર્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે યુક્રેનના પૂર્વીય વિસ્તારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે માર્શલ લોમાં હસ્તાક્ષર કર્યા. આ માર્શલ લો પૂર્વના ચાર રાજ્યો ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયામાં લાગુ થશે જે યુક્રેનથી જોડાઈ ગયા છે. આ કાયદા હેઠળ રશિયા પોતાની મરજી મુજબ આ વિસ્તારોની વસ્તીને શિફ્ટ કરી શકશે અથવા નવા લોકોને ત્યાં વસાવી શકશે. રશિયન સૈનિકો વોરંટ વિના લોકોના ઘરની તપાસ કરી શકશે અને જો શંકા હશે તો તેઓ શંકાસ્પદ વ્યક્તિને સજા કરી શકશે. એવું માનવામાં આવે છે કે રશિયાના આ કબજાને પુષ્ટિ ન મળે તે માટે યુક્રેનની સેના પણ વળતો હુમલો કરશે. આવી સ્થિતિમાં બંને વચ્ચેનો અણબનાવ વધુ ઉગ્ર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ત્યાં રહેતા ભારતીયો સહિત અન્ય લોકો કચડાઈ શકે છે.