ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડશુગર કંટ્રોલમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો બ્લડમાં શુગરની માત્રા વધી જાય તો તેનાથી કિડની સંબંધી સમસ્યાઓ, સ્કિન ઈન્ફેક્શન, આંખોની રોશની ઓછી થવી અને હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો વધી જાય છે. જેથી ડાયાબિટીસમાં ખાનપાન અંગે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આ બીમારી યુવાનો અને બાળકોમાં પણ વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવા અંગે ઘણાં સવાલો થાય છે કે કઈ વસ્તુ ખાઈ શકાય અને કઈ ના ખવાય, જેથી આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ કોળુ ખાઈ શકે કે નહીં.
પોષક તત્વોથી ભરપૂર છે કોળુ
બધાંએ ડાયટમાં આ શાક સામેલ કરવું જોઈએ
બ્લડશુગર કંટ્રોલ કરવામાં કરે છે મદદ
કોળું સ્વાદમાં તો સારું હોય જ છે પણ શું ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઈ શકે છે કે નહીં તે અંગે જાણવું જરૂરી છે, કારણ કે ગામડાના લોકો કોળુ વધુ પ્રમાણમાં ખાતા હોય છે. આમ તો શહેરોમાં પણ લોકો કોળાનું શાક બનાવીને ખાતા હોય છે. હકીકતમાં કોળામાં કેલરીની માત્રા બહુ ઓછી હોય છે અને આ શાકમાં અનેક પોષક તત્વો રહેલાં છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ પણ આ શાક અવશ્ય ખાવું જોઈએ.
કોળામાં રહેલું ફાયબર બ્લડશુગરને નિયંત્રણમાં રાખે છે
કોળામાં પ્રોટીન, કેલ્શિયમ, ફાયબર, આયર્ન અને વિટામિન એ અને સી હોય છે. ફાયબર બ્લડ શુગરના લેવલને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. જેથી ડાયાબિટીસમાં કોળુ ખાવાથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે. નિષ્ણાંતો મુજબ પણ ડાયાબિટીસમાં કોળુ ખાવાથી ફાયદો જ થાય છે. કોળુ ખાવાથી બોડીમાં ઈન્સ્યૂલિનની જરૂરિયાત ઘટી જાય છે. કોળામાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ અને પુઅરિન નામનું તત્વ બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.