કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વૈવાહિક દુષ્કર્મને ગુનાહિત બનાવવા અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. અરજીઓમાં IPCની કલમ 375 ના અપવાદ 2 ને પડકારવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે વૈવાહિક દુષ્કર્મને ગુનાહિત બનાવવા અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો
કર્ણાટક સરકારે SCમાં એફિડેવિટ પણ આપી હતી
વૈવાહિક દુષ્કર્મને ગુનાહિત જાહેર કરવાની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કેન્દ્ર સરકારને આ મુદ્દે 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. આ અરજીઓ પર સુનાવણી 21 માર્ચથી શરૂ થશે. હવે સુપ્રીમ કોર્ટ માર્ચમાં આ મામલે અંતિમ સુનાવણી કરીને વૈવાહિક દુષ્કર્મ ગુનો છે કે નહીં તે નક્કી કરશે.
મામલો ત્રણ જજોની બેંચને સોંપવામાં આવ્યો
દેશની અનેક હાઈકોર્ટમાં વૈવાહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી છે. કર્ણાટક હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હતો, જેમાં વૈવાહિક દુષ્કર્મને ગુનો જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશો આ મામલે એકમત નહોતા. ત્યારબાદ મામલો ત્રણ જજોની બેંચને સોંપવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં પડતર તમામ કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
કર્ણાટક સરકારે SCમાં એફિડેવિટ પણ આપી હતી
કર્ણાટક હાઈકોર્ટે એક કેસમાં પતિ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે પણ આ મામલે પત્ની પર દુષ્કર્મ કરવા બદલ પતિ વિરુદ્ધ કેસ દાખલ કરવાનું સમર્થન કર્યું છે. રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેસ નોંધવો જોઈએ. હાઈકોર્ટે પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા માટે આઈપીસીની કલમ 376 હેઠળ પતિ સામેના આરોપોને સમર્થન આપ્યું હતું.
વૈવાહિક દુષ્કર્મના અપવાદની બંધારણીયતા પર ટિપ્પણી કર્યા વિના, હાઇકોર્ટે અવલોકન કર્યું કે કેસની હકીકતો અને સંજોગોમાં, આવા જાતીય હુમલો/દુષ્કર્મ માટે પતિને સંપૂર્ણ મુક્તિ આપી શકાય નહીં. વૈવાહિક દુષ્કર્મની ચર્ચાનો ઇતિહાસ લાંબો છે. ભૂતકાળમાં, દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં દુષ્કર્મના કાયદા હેઠળ પતિઓને આપવામાં આવતી છૂટને સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી.
વૈવાહિક દુષ્કર્મની એફઆઈઆર રદ્દ કરવાનો ઈન્કાર કરતો ચૂકાદો આપ્યો હતો
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વૈવાહિક દુષ્કર્મને ગુનાહિત બનાવવા અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. અરજીઓમાં IPCની કલમ 375 ના અપવાદ 2 ને પડકારવામાં આવ્યો હતો. તે જ સમયે, કર્ણાટક હાઈકોર્ટે વૈવાહિક દુષ્કર્મની એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કરતા પોતાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે કહ્યું કે IPCની કલમ 375નો અપવાદ 2 પૂર્ણ નથી. આમાં પતિને છૂટ આપવામાં આવી છે.