કેનેડાના ઓન્ટેરિયોમાં એક એવો વિચિત્ર કેસ જોવા મળ્યો હતો, જેમાં જાનવરમાંથી વાઈરસ માણસમાં ફેલાયો હોવાની પુષ્ટિ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
કોરોનાનો જૂનો વેરિયન્ટ મચાવી શકે છે તબાહી
દુનિયાભરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો હાહાકાર
કેનેડામાં જાનવરમાંથી વાઈરસ માણસમાં ફેલાયો
કોરોના મહામારીનાં ભારતમાં હવે વળતાં પાણી હોય તેવું લાગી રહ્યું છે. દેશભરમાં હવે પ્રતિદિન પૂરા ૧૦૦ નવા કેસ પણ નોંધાતા નથી. આથી આરોગ્ય તંત્ર હાશકારો અનુભવી રહ્યું છે, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ તોફાન પહેલાંની શાંતિ સાબિત થઈ શકે છે. કોરોનાને લઈ નિશ્ચિંત બની ગયેલા લોકોને આરોગ્ય નિષ્ણાતોએ ફરીથી સાવધાન રહેવાની સલાહ આપી છે.
વાઈરસના જૂના વેરિઅન્ટ હજુ આપણી વચ્ચે જ- WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ભારપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોરોના મહામારી હાલ તુરંત તો ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સી બનીને આપણી વચ્ચે જ રહેવાની છે અને તે ખતમ થાય તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવા સંજોગોમાં નાની એવી બેદરકારી પણ મોટી મુસીબતને નોતરી શકે છે. ખાસ કરીને કોરોના વાઈરસના જૂના વેરિઅન્ટ હજુ સુધી આપણી વચ્ચે જ છે.
વાઈરસનો દુનિયાભરમાં પગપેસારો
પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ (PNAS)માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એવું માનવામાં આવ્યું છે કે હરણમાં કોરોનાના જૂના વેરિઅન્ટ હજુ પણ સતત સર્ક્યુલેટ થઈ રહ્યા છે, જે માણસો સુધી ફરીથી પહોંચે તેવો ખતરો છે.વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં ચીનથી ફેલાયેલો કોરોના વાઈરસ જ્યારે દુનિયાભરમાં પગપેસારો કરવા લાગ્યો ત્યારથી લઈને આજદિન સુધીમાં આ વાઈરસે તેના સ્વરૂપમાં અનેક પરિવર્તન કર્યાં છે. આ મ્યૂટેશનના કારણે જ વાઈરસની વેક્સિન શોધવામાં સમય લાગ્યો હતો.
‘વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ’
કોરોનાના પહેલા પ્રકારને આલ્ફા નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન જેવા વેરિઅન્ટ પણ આવ્યા. ફિઝિક્સ કે મેથ્સની યાદ અપાવતા આ વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં ભારે તબાહી મચાવી દીધી છે. WHOએ તેને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ પણ ગણાવ્યા હતા એટલે કે આ વેરિઅન્ટ પર ખાસ ચિંતા કરવાની જરૂર છે.
બીજી તરફ કેટલાક એવા વેરિઅન્ટ પણ સામે આવ્યા, જે વધુ ઘાતક કે સંક્રામક ન હતા, તેમને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ’ ગણાવવામાં આવ્યા હતા. આ નવા વેરિઅન્ટનું સતત મોનિટરિંગ જરૂર કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેનાથી ડરવાની કોઈ જરૂર ન હોવાનો દાવો નિષ્ણાતો કરી રહ્યા છે.
મ્યૂટેશન બાદ પણ વાયરસનો નાશ થયો નથી
‘વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ’ પર તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસ જણાવે છે કે મ્યૂટેશન બાદ પણ એ ખતમ થયા નથી, પરંતુ હરણમાં એ જ જૂના રૂપમાં જોવા મળ્યા છે. કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ તેની ઊંડી તપાસ કરવા માટે ડિસેમ્બર-૨૦૨૧થી લઈને હમણાં સુધીનાં તમામ પ્રાપ્ય સેમ્પલ લઈને અનેક તારણો રજૂ કર્યાં છે. અમેરિકા અને કેનેડાના સફેદ પૂંછડી ધરાવતાં હરણ આલ્ફા અને ગામા વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ વૈજ્ઞાનિકોની ચિંતા પણ ખૂબ વધી ગઈ છે.
દુનિયાભરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો હાહાકાર
આ વિસ્તૃત અભ્યાસ માટે ન્યૂયોર્ક સ્ટેટ અને કેનેડામાં એ હરણનાં ટિશ્યૂ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેનો શિકાર થઈ ચૂક્યો હતો. કુલ ૫,૫૦૦ સેમ્પલમાંથી પ્રારંભિક મહિનાઓમાં સંક્રમણ ફક્ત ૦.૬ ટકા જેટલું જ જોવા મળ્યું હતું, જ્યારે આગળ જતાં તે ધીમે ધીમે ૨૧ ટકાના ચિંતાજનક દરે પહોંચી ગયું હતું એટલે કે દુનિયાભરમાં જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટ હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે પણ હરણમાં આલ્ફા, ડેલ્ટા અને ગામા જેવા કોરોના વાઈરસના જૂના વેરિઅન્ટ જ ફેલાઈ રહ્યા હતા.
જૂના વેરિયન્ટ ફરી દેખાડી શકે છે પોતાનો પ્રકોપ
જીનોમ સિક્વન્સિંગમાં સામે આવેલાં પરિણામો બાદ વૈજ્ઞાનિકોને ડર છે કે કદાચ આ વેરિઅન્ટ ભવિષ્યમાં ફરી એક વખત માણસોની અંદર ફેલાઈ જાય તેવી પણ શક્યતા છે. જાનવરોમાં પણ આ જૂના વેરિઅન્ટ વધુ ખતરનાક બને તે શક્યતા પણ નકારી શકાતી નથી.
અભ્યાસના તારણોથી વૈજ્ઞાનિકો આખરે ડરી કેમ રહ્યા છે?
વૈજ્ઞાનિકો હાલના તબક્કે એ તથ્ય સમજી શકતા નથી કે હરણમાં કોરોના વાઈરસના આ જૂના વેરિઅન્ટ ફેલાયા તો હજુ સુધી ફક્ત જૂના વેરિઅન્ટ જ કેમ જોવા મળી રહ્યા છે? તેમને એવી આશંકા પણ સતાવી રહી છે કે ભવિષ્યમાં આ તમામ જૂના વેરિઅન્ટ ફરી એક વખત માણસોની અંદર પહોંચી જશે અને ત્યારે તેના પર વેક્સિન કે ઈમ્યુનિટીની પણ કોઈ અસર જોવા મળશેa નહીં. હરણના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોનાના આ જૂના વેરિઅન્ટ ફરીથી ફેલાય તેવી પણ સંભાવના છે જ. જો આવું થયું તો તબાહીનું જે તાંડવ જોવા મળશે તેને રોકવું લગભગ અશક્ય બની જશે તેવી ચેતવણી પણ નિષ્ણાતો આપી રહ્યા છે.
જાનવરમાંથી વાઈરસ માણસમાં ફેલાયો
કેનેડાના ઓન્ટેરિયોમાં એક એવો વિચિત્ર કેસ જોવા મળ્યો હતો, જેમાં જાનવરમાંથી વાઈરસ માણસમાં ફેલાયો હોવાની પુષ્ટિ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી હતી. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસનાં તારણો જોઈએ તો તેમાં સાફ શબ્દોમાં હરણ સાથે સીધા સંપર્કમાં આવતા લોકોને વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે, જે સ્થિતિની ગંભીરતા સમજાવે છે. ભવિષ્યમાં આ જૂના વેરિઅન્ટ સ્વરૂપ બદલી તથા વધુ ખતરનાક બની ફરીથી માણસોમાં ફેલાઈ શકે છે.