ગાંધીનગર: ભાદરવીમાં પણ ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં મેઘ મહેર થઇ છે. જેને લઇ પાણીની તકલીફ થોડા અંશે ઓછી થઇ છે. પરંતુ સિંચાઇના પાણીની તકલીફ ખેડૂતોને પડવાની શક્યતાઓ છે. રાજ્યમાં વરસાદ અને પાણીની સ્થિતિ પર સિંચાઇ મંત્રી પરબત પટેલે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસમાં મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. ગુજરાતના 203 જળાશયોમાંથી 28 જળાશયો 100% ભરાયાં છે.
વધુમાં તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 37.13% પાણી ભરાયું છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87.54% પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.67% પાણી ભરાયા છે. જ્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાં 43.36% પાણી ભરાયા છે. પરંતુ ચિંતાનો વિષય છે કે કચ્છ જિલ્લામાં વરસાદ ન પડતા જળાશયોમાં ઓછું પાણી છે.
મહત્વનું છે કે 31 જળાશયો 70થી 100% ભરાયાં 28 જળાશયો 70%થી ઓછા ભરાયાં 20 જળાશયો 50થી 70% ભરાયાં 39 જળાશયો 25થી 50% ભરાયાં 85 જળાશયોમાં 25%થી ઓછુ પાણી કુલ 203 જળાશયોમાં 54.21% પાણી ભરાયા છે.
નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો
મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 83 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલની ડેમની સપાટી 127.30 મીટરે પહોંચી છે. બે કલાકમાં ડેમમાં પાણીની આવકમાં 5 સેન્ટીમીટરનો વધારો થયો છે. જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ ડેમમાંથી પાણીની જાવક 10528 ક્યુસેક છે. હાલ ડેમમાં 2400 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.