ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ રવિ સિઝનનો છેલ્લો ફાલ લેવાનો બાકી છે. બરાબર આવા સમયે જ ડભોઈ તાલુકાના ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. કેમકે, અણીના સમયે જ સિંચાઈવિભાગ દ્વારા પિયતનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે ત્રણ હજારથી વધારે હેક્ટરમાં એક તરફ પાક સુકાવાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ઉનાળુ પાકનું વાવેતર કરવું કે કેમ તે બાબતે ખેડૂતો અસમંજસમાં મુકાયા છે.
તરસ્યા ખેતરો અને સૂકી કેનાલો
પોતાના ખેતરો પાસે જ્યારે આ કેનાલો પથરાઈ રહી હતી ત્યારે કેનાલ કાંઠાના ખેડૂતો પોતાને સદભાગી સમજી રહ્યા હતા.તેમને સોનાનો સૂરજ ઉગવાની આશા બંધાઈ હતી. અને એટલે જ તો કેનાલ માટે ખેડૂતોએ પોતાના ખેતરમાંથી કાળજાના ટુકડા જેવો હિસ્સો જમીન સંપાદનમાં હોંશે હોંશે હોંશે અર્પિત કરી દીધો હતો.આજે ઘણા ખેતરો સુધી કેનાલો પહોંચી છે. પરંતુ ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે તે પહેલા તો તેમના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. કેમકે કૃષિ પાક માટે પિયત પહોંચાડવા બાંધવામાં આવેલી આ કેનાલો મોટા ભાગે સૂકીભઠ જોવા મળી રહી છે. હા ક્યારેક ક્યારેક પાણી છોડવામાં આવે છે ખરું પરંતુ તે એવી કવેળાએ બંધ કરી દેવામાં આવે છે કે ખેડૂતો નથી ઘરના રહેતા કે નથી ઘાટના રહેતા.એક તરફ ખેતરના પાકને પિયતની ખાસ જરૂર હોય તેવા સમયે જ સિંચાઈ ખાતાના અધિકારીઓ મનમાની કરીને પાણી બંધ કરી દે છે જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે.
આવી જ પરિસ્થિતિમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ખેડૂતો ફસાયા છે.ચાલુ વર્ષે ખેડૂતોએ ઘાસચારો, તુવેર, ચના જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લાં પિયત માટે પાણી ન મળવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે પાકને પાણી ન મળવાથી કરમાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ડભોઇ તાલુકાની જ વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે ત્રણ હજાર હેક્ટરમાં રવિપાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે હવે ખેડૂતોને છેલ્લા પાકની જરૂર છે ત્યારે કેનાલો ખાલીખમ પડી છે. જેના કારણે છેલ્લાં પિયતના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
રજૂઆતો કરી થાકયો જગતનો તાત
તો બીજી તરફ ઉનાળું વાવેતર માટે ખેતર તૈયાર કરતાં ખેડૂતોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે ઉનાળામાં પીયતનું પાણી મળશે કે કેમ? આ માટે ખેડૂતોએ અનેક વખત સરકારમાં અને ધારાસભ્યોને રજૂઆત કરી છે છતાં ખાલીખમ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી.
કેનાલમાં તંત્ર ક્યારે છોડશે પાણી?
કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવતા માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. કેનાલો ખાલીખમ હોવાથી પશુઓને પાણી પીવડાવવા માટે ત્રણથી ચાર કિલોમીટર દૂર જવું પડે છે અને ત્યાં પણ પાણી મળ્યું તો ઠીક નહીંતર પશુઓ લઈને પરત પાછા ફરવાનો વારો આવે છે. જેથી સરકાર તત્કાળ પશુ અને ખેડૂતોના હિતમાં કેનાલમાં પાણીં છોડે તેવી માંગ ઉઠવા લાગી છે.