ઉનાળામાં પાણીનો પોકાર તીવ્ર બની રહ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીની કારમી તંગી જોવા મળી રહી છે. તો બીજી તરફ ઊનાળું પાકનાં પિયતનું સંકટ પણ ઘેરું બન્યું છે. પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં સિંચાઈનાં અભાવે ઉનાળું પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે અહીં પિયતની આ સમસ્યા પાણીનાં અભાવ કરતાં વ્યવસ્થાપનનાં અભાવે સર્જાઈ રહી હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં જળસંકટ ઘેરું બન્યું છે. પીવાના પાણીની તંગી સાથે સાથે ઊનાળુ પાકને પિયત કેમ કરવું તે સવાલ રોજ ખેડૂતો સામે મોં ફાડીને ઊભો રહી જાય છે. પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકાનાં પશ્ચિમ વિસ્તારની આ વાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં સમયસર પિયતનાં અભાવે ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા ટુવા, વણઝારિયા, કાશીપુરા જેવાં 7 ગામોમાં સિંચાઈનાં અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે.
એવું નથી કે પાનમસિંચાઈ યોજના હેઠળ બાંધેલા જળાશયમાં પાણી નથી. ત્યાં પાણી તો છે પરંતુ પૂર્વ વિસ્તાર તરફ સિંચાઈનું પાણી વધારે આપવામાં આવતું હોવાનાં કારણે પશ્ચિમ વિસ્તારનાં ખેતરો સુધી સમયસર પાણી પહોંચતું નથી. ટુવા, વણજારીયા, કાશીપુરા જેવાં 7 ઉપરાંત ગામોનાં ખેડૂતો પાસેથી પાનમ સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળાની ઋતુમાં સિંચાઈનું પાણી આપવા માટે ખેડૂતો પાસેથી નાણા પણ વસુલી લીધાં હતાં.
જો કે તેમ છતાં સિંચાઈનું પાણી ન મળતાં આ વિસ્તારમાં ઉનાળું પાક નિષ્ફળ ગયો છે. ડાંગર, મકાઇ અને બાજરીનો મહામૂલો પાક હાલ નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક પાયમાલીમાં ઘકેલાઈ ગયાં છે. ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આ ગામોના ખેડૂતો દ્વારા સિંચાઈનું પાણી મળવાની આશાએ ખેતરમાં બિયારણ તેમજ ધરું લાવીને ડાંગર, મકાઈ અને બાજરીનાં પાકનું વાવેતર કર્યું હતું.
પાનમ મેઈન કેનાલનાં કમાંડ એરિયા ગણાતા આ 1800 હેકટર વિસ્તારમાં કરવામાં ઉનાળું ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતુ. પરંતુ પિયતના અભાવે પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે ખેડૂતોને આર્થિક સંકડામણની સાથે ઉનાળામાં પોતાના પશુઓ માટે ઘાસચારા માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતો હાલ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે અને સાથે સાથે સિંચાઈનાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલની પણ માંગ કરી રહ્યા છે .
જો કે ગોધરા તાલુકાનાં આ પશ્ચિમ વિસ્તારમાં પિયતમાં પડતી મુશ્કેલીનું કારણ પાણીની તંગી નહીં પરંતુ સિંચાઈ વિભાગનાં વ્યવસ્થાનનો અભાવ હોવાનું સામે આવી રહ્યું છે. પાનમ સિંચાઈ વિભાગના અધિકારીઓ જ એ સ્વીકારે છે કે પૂર્વ વિભાગના હેઠવાસના ખેડૂતો ડાંગરનાં પાકનાં પિયતમાં વધારે પાણી વાપરે છે. પરિણામે ઉપરવાસમાં આવેલા પશ્ચિમ વિભાગનાં ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી. જો કે, હવે તેઓ તબક્કાવાર પશ્ચિમ વિભાગમાં પણ પાણી છોડવાની વાત કરી રહ્યાં છે.
ઉનાળામાં સ્થાનિક જળસ્રોત સુકાઈ જવાનાં કારણે પાણીની તંગી સર્જાય તે સમજાય તેવી વાત છે. પરંતુ અહીં તો જળ વ્યવસ્થાપનનાં અભાવે ખેડૂતોએ પિયતથી વંચિત રહેવું પડ્યું છે. ત્યારે ખેડૂતોને થયેલાં નુકસાન માટે જવાબદાર કોણ? આ સવાલ સૂકી કેનાલોની પાળ પરથી અને નિષ્ફળ પાકનાં એક એક તણખલાં માથી પડઘાઈ રહ્યો છે.