લખનઉથી દિલ્હી વચ્ચે શરૂ થનારી તેજસ એક્સપ્રેસને લઇને IRCTCએ મોટો નિર્ણય લીધો છે. રેલ યાત્રાળુને આકર્ષિત કરવા માટે વીમાની સાથે-સાથે ટ્રેન મોડી પડવા પર વળતર આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જો ટ્રેન 1 કલાક મોડી પડે છે તો યાત્રાળુને 100 રૂપિયા વળતર આપવામાં આવશે. જ્યારે 2 કલાકથી વધારે મોડુ થવા પર તમામ યાત્રાળુને 250 રૂપિયા આપવામાં આવશે.
તેજસ એક્સપ્રેસને લઇને IRCTCનો મોટો નિર્ણય
2 કલાકથી વધારે મોડુ થવા પર મળશે 250 રૂપિયા
સપ્તાહમાં 6 દિવસ દોડશે લખનઉ-દિલ્હી તેજસ એક્સ્પ્રેસ
તેજસ એક્સપ્રેસ ખાનગી કંપની દ્વારા સંચાલિત પહેલી ટ્રેન છે. રેલવે બોર્ડ અન્ય માર્ગો પર પણ આ પ્રકારે ટ્રેન ચલાવવા પર વિચાર કરી રહી છે. તેજસ ટ્રેનની જાળવણી ઇન્ડિયન કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની જવાબદારી છે. તેજસમાં યાત્રાળુને પ્રીમિયમ સેવાઓ અને સુવિધાઓ આપવામાં આવશે.
આ ટ્રેન નવી દિલ્હીથી સાંજે 3.35 વાગ્યે ઉપડશે, જે એ જ દિવસે 10.05 વાગ્યે રાત્રે લખનઉ પહોંચશે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચલાવવામાં આવશે. 82502/82501 તેજસ એક્સપ્રેસ મંગળવારે છોડીને સપ્તાહમાં છ દિવસ નવી દિલ્હી અને લખનઉ વચ્ચે દોડશે. આ ટ્રેનની શરૂઆત 4 ઓક્ટોબર થઇ રહી છે.
લખનઉ-દિલ્હી માર્ગ પર હાલ સ્વર્ણ શતાબ્દી સહિત 53 ટ્રેન સંચાલિત છે. પ્રદેશની રાજધાની લઅનઉમાં જોકે રાજધાનીની સેવા ઉપલબ્ધ નથી. લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ બાદ જલ્દી જ અમદાવાદથી મુંબઇ માટે ચાલનારી તેજસ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી શકે છે. તેમા કુલ 758 યાત્રાળુ મુસાફરી કરી શકે છે. આ ટ્રેનમાં એક એક્જિક્યૂટિવ ક્લાસ વાતાનુકૂલિત ચેયર કાર હશે, જેમા 56 બેઠક હશે અને 9 વાતાનુકૂલિત ચેયર કાર હશે જેમા પ્રત્યેકમાં 78 બેઠક હશે.