નવી દિલ્હી: રેલવેના જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ જનરલ કોચના પ્રવાસીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. હવે જનરલ કોચમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓને પણ કન્ફર્મ ટિકિટ મળશે. રેલવેએ એક નવી શરૂઆત કરી છે. આ સુવિધા હેઠળ પ્રવાસીને સીટ નંબર તેમના ફોટા સાથે વોટ્સએપ પર મળી જશે. તેનાથી પ્લેટફોર્મ પર લાંબી લાઇનની ઝંઝટમાંથી પ્રવાસીને છૂટકારો મળશે અને સીટને લઇને થતી ગેરરીતિની આશંકા રહેશે નહીં.
હવે જનરલ કોચમાં પણ સીટ બુક કરાવી શકાશે
પ્લેટફોર્મ પર લાંબી લાઇનની ઝંઝટમાંથી પ્રવાસીને છૂટકારો મળશે
સીટને લઇને થતી ગેરરીતિઓ ઘટશે
આ યોજનાને હવે સમગ્ર દેશમાં લાગુ પાડવા પર કામ ચાલી રહ્યું છે. વાસ્તવમાં પૂર્વ-મધ્ય રેલવેના દાનાપુર ઝોને એક પાઇલટ પ્રોજેકટ હેઠળ પૂરબ એટલે કે પાસ ફોર અનરિઝર્વ્ડ બોર્ડ નામની એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ જનરલ કોચમાં અનરિઝર્વ સીટ પર પણ પ્રવાસીને કન્ફર્મ ટિકિટ મળી શકશે. અનરિઝર્વ્ડ ટિકિટ આપતી વખતે પ્રવાસીઓને બોર્ડિંગ પાસ આપવામાં આવે છે.
વોટ્સએપ નંબર પર ડિજિટલ ટિકિટ મળશે
જનરલ કોચમાં કન્ફર્મ ટિકિટ લેવા માટે જો તમે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ લેશો તો તેની સાથે જ ઉપર જણાવ્યા મુજબની પૂરબ યોજનાનું કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં તમે ઓળખપત્ર આપીને તમારો ફોટો પડાવી શકશો. ત્યાર બાદ તમને વોટ્સએપ નંબર પર ડિજિટલ ટિકિટ મળશે.