દિલ્હી-લખનઉ રૂટ પર કોર્પોરેટ ટ્રેન તેજસના સંચાલન બાદ હવે એવું લાગે છે કે જાણે ઇન્ડિયન રેલવે ઝડપી ખાનગીકરણની તરફ આગળ વધી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, બુધવારે નીતિ આયોગ અને રેલવે વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં 150 પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં આપવાનો વિચાર કરાયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેના પર સહમતિ બની ગઇ છે અને સરકાર તરફથી જલ્દી જાહેરાત કરવામાં આવશે. જોકે, હાલ તેની પુષ્ટી કરાઇ નથી. આ પહેલા સમાચાર હતા કે ઇન્ડિગો ટ્રેનનું સંચાલન શરૂ કરવા માટે હવે આ કંપની તૈયાર છે. સ્પાઇસજેટ પણ વિચાર કરી રહી છે.
રેલવે મંત્રાલય મુજબ, કેટલાક પ્રતિષ્ઠિત ખાનગી એર લાઇન કંપનીઓએ ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિમાન કંપનીઓના નામ વિશે પૂછવા પર સૂત્રે આગળ જણાવ્યુ કે સ્પાઇસ જેટ અને ઇન્ડિગો બે ખાનગી એર લાઇન કંપનીઓ છે જેમણે ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી છે.
નામ ન આપવાની શરતે, રેલ મંત્રાલયમાં તહેનાત એક વરિષ્ઠ ભારતીય રેલવે અધિકારીએ કહ્યું કે, કેટલાક મોટા યાત્રા પોર્ટલ ભારતીય રેલવેમાં સામેલ થવા ઇચ્છે છે. હાલ એમા તેમણે માત્ર 'મેકમાઇટ્રીપ' ના નામનો ખુલાસો કર્યો છે.