દુનિયાભરમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં ૪,૯૬૫ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે સવા લાખથી પણ વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. ઈરાનમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ દરમિયાન ઈરાનની કેટલીક તસવીરોએ દુનિયાને ચોંકાવી દીધી છે. સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે કે, ઈરાનમાં લાશોને દફનાવવા માટે વિશાળ મેદાનમાં મોટા ખાડા ખોદવામાં આવ્યા છે.
સેટેલાઇટમાં તસવીરો કેદ થઈ
ઈરાનમાં ૧૦,૦૦૦થી વધુ લોકો કોરોનાવાયરસથી સંક્રમિત
અમેરિકન અખબાર 'વોશિંગટન પોસ્ટ'ના દાવા અનુસાર, ગત મહિને કોરોના વાયરસ નો સૌથી પહેલો કેસ સામે આવતાં જ ઈરાને લાશોને દફનાવવા માટે ખાડા ખોદ્યા હતા. આ ખાડા લગભગ ફૂટબોલનાં બે મેદાન જેટલા મોટા છે.
આ કબરના મોટા ખાડા ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ ૧૨૦ કિલોમીટર દૂર કોમ શહેરની નજીક ખોદવામાં આવ્યા છે. સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરોમાં કબરના ખાડા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઈરાનમાં સત્તાવાર આંકડાઓ અનુસાર, હાલ ૧૦ હજારથી પણ વધુ લોકો કોરાના વાયરસ થી સંક્રમિત છે.
દફનાવતી વખતે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ શબ ઘરોમાં કાળી બેગમાં બાંધવામાં આવેલી અનેક લોશોના વીડિયો વાઈરલ થયા હતા. ઈરાનમાં ઈસ્લામિક પરંપરા મુજબ શબને દફનાવતાં પહેલાં તેને સાબુ અને પાણીથી નવડાવવામાં આવે છે, પરંતુ આ મૃતદેહો અંગે હાલ તપાસ થઈ રહી છે કે, તેમનાં મોત કોરોના વાયરસ થી થયાં છે કે નહીં. જો એવું હશે તો દફનાવતી વખતે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવશે, જેથી માટી પર તેની કોઈ અસર ન થાય. આ કારણે શબ ઘરની બહાર વાયરસના ટેસ્ટિંગમાં સમય લાગી રહ્યો હોવાથી મૃતદેહોના ઢગલા થઈ ગયા છે.