આખરે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી -20 વર્લ્ડ કપને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે ટેલિકોન્ફરન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું આયોજન કરવાનો માર્ગ મોકળો બન્યો.
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આઇસીસીએ કોવિડ -19 મહામારીને કારણે ઓસ્ટ્રેલિયામાં યોજનાર મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2020 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે, T-20 વર્લ્ડ કપ આગામી 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો.
ICCએ લીધા 3 મહત્વના નિર્ણય
આઇસીસીએ સોમવારે તેની બેઠક પછી પુષ્ટિ કરી કે કોવિડ -19 ને કારણે ટી 20 વર્લ્ડ કપ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ સાથે જ, આઇસીસીએ ત્રણ મુખ્ય આઇસીસી ટૂર્નામેન્ટની તારીખો પણ બદલી છે, જેમાં 2023 માં ભારતમાં રમાનારી ફીફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. હવે ટી 20 વર્લ્ડ કપ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમવામાં આવશે. તેની ફાઈનલ 14 નવેમ્બર 2021 ના રોજ યોજાશે.
BREAKING: The 2020 @T20WorldCup has been postponed.
આ સાથે જ, વર્ષ 2022 માં રમાનાર ટી 20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બર 2022 માં યોજાશે. તેની ફાઈનલ 13 નવેમ્બર 2022 ના રોજ થશે. આ ઉપરાંત વર્ષ 2023 માં ઓક્ટોબર-નવેમ્બરમાં ફિફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કરવામાં આવશે અને તેની ફાઇલ 26 નવેમ્બરના રોજ યોજવામાં આવશે. જો કે, ટી 20 વર્લ્ડ કપ રદ થવાને કારણે, બીસીસીઆઈની મનની ઇચ્છા ચોક્કસપણે પૂર્ણ થઈ છે. કારણ એ છે કે બીસીસીઆઈ આઈપીએલ માટે રસ્તો શોધી રહ્યું હતું.
મે મહિનામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ICCને કર્યું હતું સુચન
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં આઇસીસીને માહિતી આપી હતી કે હાલના સંજોગોમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું લગભગ અશક્ય હશે અને 16 આંતરરાષ્ટ્રીય ટીમોને અલગ કરવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહેશે.