કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં કોહરામ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનાં પગલે સરકારો વિવિધ પગલાં ભરી રહી છે. ત્યારે હવે IPLને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આઈપીએલની બધી ટીમે પોતાના ખેલાડીઓને ટ્રેનિંગ કેમ્પ રદ્દ કરીને બધા ખેલાડીઓને ઘરે મોકલી દીધા.
સૌથી પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાનો ટ્રેનિંગ રદ કરી દીધો હતો
આરસીબીનો પ્રેક્ટિસ કેમ્પ આગામી સૂચના સુધી રદ
ધોની સહિતા ખેલાડીઓ પોતપોતાના ઘેર પાછા ફર્યા
કોરોનાની મહામારીના કારણે આઇપીએલ ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવાયા બાદ લીગની આઠેય ફ્રેંચાઇઝીએ ટૂર્નામેન્ટ પહેલાં પોતાના ટ્રેનિંગ કેમ્પને આગામી સૂચના સુધી રદ કરી દીધા છે. સૌથી પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાનો ટ્રેનિંગ રદ કરી દીધો હતો અને ધોની સહિતા ખેલાડીઓ પોતપોતાના ઘેર પાછા ફર્યા હતા.
આરસીબીએ ૨૧ માર્ચ શરૂ થઈ રહેલો ટ્રેનિંગ કેમ્પ રદ કરી દીધો છે. ત્રણ વાર ચેમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ ટ્રેનિંગ કેમ્પ અગાઉથી જ રદ કરી ચૂક્યા છે. આરસીબીએ ટ્વિટ કર્યું, ''બધાની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ૨૧ માર્ચથી શરૂ થઈ રહેલો આરસીબીનો પ્રેક્ટિસ કેમ્પ આગામી સૂચના સુધી રદ કરી દેવામાં આવ્યો છે. અમે બધાંને સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા-નિર્દેશોનું પાલન કરીને સુરક્ષિત રહેવાની અપીલ કરીએ છીએ.''
નોંધનીય છે કે કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને જોતા આઈપીએલનું આયોજન થાય તેની શક્યતા ખૂબ ઓછી છે. વિવિધ રાજ્ય સરકારે શાળા-કોલેજ, મોલ-સિનેમા બંધ કરાવી દીધા છે ત્યારે IPLનું આયોજન કઈ રીતે કરવું તે સૌથી મોટો પ્રશ્ન છે. ભારતીય બોર્ડે સ્વીકાર કર્યો છે લોકોની સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. સૂત્રોનું માનીએ તો મોટા ભાગની ટીમોએ પણ IPL રદ્દ થશે તેવું સ્વીકાર કરી લીધું છે.