આઇપીએલની ૧૩મી સિઝનની શરૂઆત આવતી કાલથી થઈ રહી છે. કોરોના મહામારીને કારણે બાયો બબલના સખત નિયમ બનાવવામાં આવ્યા છે.
મળેલી જાણકારી અનુસાર આઇપીએલમાટે ટીમ જ્યારે યુએઈમાં મેચના દિવસે હોટલથી સ્ટેડિયમમાં જશે ત્યારે એ લોકો જ સામેલ થઈ શકશે, જેઓ હોટેલના બાયો બબલમાં સામેલ થયા હોય. આમાં બે વેઇટર્સ પણ હશે. દરેક ટીમ બે બસમાં મુસાફરી કરશે. ભારતમાં ટીમ એક જ બસમાં હોટલથી સ્ટેડિયમ સુધી પહોંચે છે. ઉલ્લેખનીય છે કે દરેક ફ્રેંચાઇઝીએ પોતાની ટીમમાં ૨૨થી ૨૫ ખેલાડીને સામેલ કર્યા છે.
બસમાં ફક્ત ૧૭ ખેલાડી અને ૧૨ કોચિંગ-સપોર્ટ સ્ટાફ
સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમ મેચના દિવસે જ્યારે હોટલથી સ્ટેડિયમ જવા નીકળશે ત્યારે બસમાં ફક્ત ૧૭ ખેલાડી અને ૧૨ કોચિંગ-સપોર્ટ સ્ટાફને લઈ જઈ શકશે. આ ઉપરાંત બે વેઇટર અને બે લોજિસ્ટિક (યુએઈની ભૌગોલિક સ્થિતિના જાણકાર) વ્યક્તિ મુસાફરી કરશે.
દર છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે
અબુધાબી, દુબઈ, શારજાહમાં આઇપીએલ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ- પછી એ ભારતીય હોય કે અન્ય દેશની, તેણે દર છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ લોકોમાં સ્ટેડિયમ સ્ટાફ, પીચ, ગ્રાઉન્ડ સ્ટાફ અને ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે.
CSKના ૧૩ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા
યુએઈમાં- ખાસ કરીને અબુધાબીમાં કોવિડ-૧૯ સાથે જોડાયેલા પ્રોટોકોલ ઘણા કડક છે અને આઇપીએલ ટીમોએ પણ તેનું પાલન કરવું પડશે. યુએઈ પહોંચ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના ૧૩ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ભારતમાં કોરોના મહામારી ફેલાવાને કારણે જ આ વખતે આઇપીએલનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે.