આખરે IPL હવે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન યુએઈમાં રમાશે. ટી-20 વર્લ્ડકપ સ્થગિત કરાયા પછી આઇપીએલનો માર્ગ મોકળો બની ગયો. ઘણા લોકો કહી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ફ્રેંચાઇઝી ક્રિકેટ એટલે કે નાણાં ભારે પડી રહ્યાં છે. અસલમાં દુનિયાના સૌથી ધનવાન બોર્ડ બીસીસીઆઇના ખેલાડી આખા વર્લ્ડકપમાં રમીને જેટલી કમાણી નથી કરતાં એનાથી બેથી પાંચ ગણી કમાણી તેઓ આઇપીએલમાં રમીને કરી લેશે.
બીસીસીઆઇ દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ
વિરાટ કોહલીને એક મેચ રમવાના રૂ. 1.21 કરોડ મળશે
આ ગણિત આજે અહીં સમજીએ. ટી-૨૦ વર્લ્ડકપની એક મેચ રમવાના ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પાંચ લાખ રૂપિયા મળત, જ્યારે આઇપીએલની એક મેચ રમવા માટે વિરાટ કોહલીને લગભગ 1.2 કરોડ રૂપિયા મળશે, જ્યારે રોહિત શર્મા આઇપીએલની એક મેચ રમીને એક કરોડની કમાણી કરશે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને આઇપીએલમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે. તેને આ વર્ષે પણ આરસીબીએ 17 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આઇપીએલમાં દરેક ટીમ લીગ રાઉન્ડની 14-14 મેચ રમે છે. આ હિસાબથી વિરાટ કોહલીને એક મેચ રમવાના રૂ. 1.21 કરોડ મળશે. વિરાટ બાદ રોહિત શર્માનો નંબર આવે છે. રોહિતને મુંબઈ ઇન્ડિયન્સે ૧૫ કરોડ રૂપિયામાં રિટેન કર્યો. એટલે કે તેને પણ એક મેચ માટે રૂ. 1.07 કરોડ મળશે.
બીસીસીઆઇ દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે અને જેટલાં નાણાં ભારતીય ખેલાડીઓને મળે છે એટલાં દુનિયાના કોઈ પણ ક્રિકેટરને નથી મળતાં. બીસીસીઆઇના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 27 ખેલાડી છે. આ ખેલાડીઓને એ-પ્લસ, એ, બી અને સી ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. એ-પ્લસ ગ્રેડમાં વાર્ષિક રૂ. સાત કરોડ, એ ગ્રેડમાં રૂ. પાંચ કરોડ, બી ગ્રેડમાં રૂ. ત્રણ કરોડ અને સી ગ્રેડમાં એક કરોડ રૂપિયા મળે છે. આ ઉપરાંત મેચ ફી અલગથી મળે છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને એક ટેસ્ટ મેચ રમવા માટે રૂ. 15 લાખ, વન ડે મેચ માટે રૂ. સાત લાખ અને ટી-20 મેચ માટે રૂ. પાંચ લાખ મળે છે.
આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને લીગ રાઉન્ડની પાંચ મેચ રમવાની હતી. ત્યાર બાદ જો ટીમ સેમિફાઇનલ અને ફાઇનલમાં રમી હોત તો કુલ સાત મેચ રમવી પડત. દરેક મેચના પાંચ લાખ રૂપિયાના હિસાબે વિરાટ-રોહિતને વર્લ્ડકપમાં રમવા બદલ 25લાખ રૂપિયા અથવા વધુમાં વધુ ૩૫ લાખ રૂપિયા મળ્યા હોત, પરંતુ IPLની એક જ મેચ માટે તેમને ચારથી પાંચ ગણી રકમ મળશે. હવે તમે જ વિચારો, આઇપીએલમાં રમવા માટે ભારત ઉપરાંત દુનિયાભરના ક્રિકેટરો શા માટે થનગની રહ્યા છે.