કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. વાયરસનાં ખતરાને જોતા પહેલાં જ ઘણી બધી સ્પોર્ટસ ઈવેન્ટ રદ્દ કરી દેવામાં આવેલ હતી. સાથે જ આ વર્ષની આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે આ વાયરસના કારણે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે નહીં. એવામાં ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ ખેલાડીએ ટૂર્નામેન્ટનાં આયોજનની વાત કરીને બધાને અચંભામાં મૂકી દીધા છે.
ઈન્સ્ટાગ્રામની લાઈવ ચેટમાં રોહિત શર્માની કબૂલાત
બધું સામાન્ય થઇ જાય પછી આઈપીએલનું આયોજન થવાની સંભાવના
જોકે મોટા ભાગનાં લોકોનું માનવું છે કે ટૂર્નામેન્ટ રદ્દ થશે
ભારતીય ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ વર્ષે આઈપીએલ રમાશે કે નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે આ વિષય પર કંઈ કહી શકાય નહી. એવામાં ટીમ ઈન્ડિયાનાં ખેલાડી રોહિત શર્માએ કહ્યું કે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે. મુંબઈ ઈન્ડીયન્સના રોહિત શર્માનાં આ નીવેદન પર લોકો કડવી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
રોહિત શર્મા અને ઇંગ્લેન્ડનાં પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટમાં રોહિત શર્માએ ટૂર્નામેન્ટનાં આયોજન પર આ વાત કરી હતી. રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ વર્ષે આઈપીએલ યોજાશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે જયારે બધું સામાન્ય થઈ જશે ત્યારે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
કોરોના વાયરસનાં કારણે ઘણા સમયથી ટૂર્નામેન્ટ પર અટકળો લગાવવામાં આવી રહી છે. વિવિધ અહેવાલોમાં જુદા જુદા દાવાઓ કરવામાં આવ્યા હતા ત્યારે રોહિત શર્માના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આવા સંકટનાં સમયમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું જોઈએ નહીં. લોકોએ કહ્યું કે જ્યારે દેશને લાગશે કે પરિસ્થિતિ સામાન્ય થઇ ગઈ છે અને જો લાપરવાહી દાખવીને આવા આયોજન કરવામાં આવશે તો પાછળથી કોરોના વાયરસનો ખતરો વધી જશે. ઘણા લોકોનું માનવું છે કે હજુ લાંબા સમયગાળા સુધી દેશે સાવચેતી રાખવાની જરૂર છે.