ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ (ચેપોક) સ્ટેડિયમનાં બંધ પડેલા ત્રણ સ્ટેન્ડના મામલાનો ઉકેલ ન આવવાના કારણે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમને ૧૨ મેએ આઇપીએલની ફાઇનલ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. વહીવટદારોની સમિતિ અને બીસીસીઆઇના ત્રણ અધિકારી ગત સોમવારે દિલ્હીમાં મળ્યા હતા. એ દરમિયાન આઇપીએલ અને ક્રિકેટના મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ નિર્ણયથી જોકે ચેન્નઈ સુપર કિંગ્સ જોકે ખુશ નહીં થાય.
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું, ''અમે તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (TNCA) સાથે વાત કરીશું, કારણ કે અમે ચેન્નઈ પાસેથી આ અધિકાર છીનવવા માગતા નથી, પરંતુ બંધ રહેલાં ત્રણ સ્ટેન્ડનો એક પેચીદો મામલો છે. TNCA 'આઇ', 'જે' અને 'કે' સ્ટેન્ડ માટે સ્થાનિક નગર નિગમ સાથે ૨૦૧૨થી એનઓસી લઈ શક્યું નથી. આ મામલો રાજ્ય સરકાર અને TNCA વચ્ચે રાજનીતિનો છે.
ત્રણ સ્ટેન્ડ, જેમાં લગભગ ૧૨,૦૦૦ દર્શકો બેસી શકે છે. બંધ પડેલાં આ ત્રણ સ્ટેન્ડ ટીવી પર બહુ જ ખરાબ લાગે છે. અમે નથી ઇચ્છતા કે સીએસકે ઘરઆંગણે રમવાનો ફાયદો ગુમાવી દે. જો સીએસકે પ્લેઓફમાં પ્રવેશ કરશે તો અમે તેમને વિચારવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.
જો તેઓ એનઓસી મેળવામાં સફળ નહીં રહે તો ફાઇનલ હૈદરાબાદમાં રમાશે, જ્યારે પ્લેઓફ અને એલિમિનેટરની મેચ બેંગલુરુમાં રમાશે. ૨૦૧૮માં સનરાઇઝર્સ વિજેતા ટીમ હતી. તેથી ફાઇનલ હૈદરાબાદમાં રમાઈ શકે છે.''
જાણવા મળી રહ્યું છે કે વિવાદનું મુખ્ય કારણ સ્ટેન્ડ સાથે જોડાયેલું મદ્રાસ ક્રિકેટ ક્લબનું જિમ્નેશિયમ છે. ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડના કેટલાક ભાગને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે TNCAને કહ્યું હતું કે, તે ચેન્નઈ મહાનગર પાલિકાને તેનો પ્લાન મોકલે. TNCA આ વાત સાથે સહમત છે, પરંતુ તેને આ પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્યની હેરિટેજ કમિટી પાસેથી હજુ સુધી મંજૂરી મળી નથી.