આ વખતે ફ્રેંચાઇઝીઓએ કેટલાક ચોંકાવનારા નિર્ણય કર્યા છે. જેમ કે રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સ્ટીવ સ્મિથને જ ટીમની બહાર કરી દીધો છે. ગત સિઝનમાં રાજસ્થાનની ટીમ આઠમા ક્રમે રહી હતી. સ્મિથ આ વખતે રિલીઝ થનારો સૌથી મોંઘો ખેલાડી છે. તેના સ્થાને સંજુ સેમસનને રાજસ્થાન ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. આરસીબીએ સૌથી વધુ ૧૦ ખેલાડીને રિલીઝ કર્યા, જ્યારે પંજાબે નવ, રાજસ્થાને આઠ, મુંબઈએ સાત, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હીએ છ-છ અને હૈદરાબાદે પાંચ ખેલાડી સાથેનો કરાર ખતમ કરી નાખ્યો.
મલિંગાએ કર્યું મુંબઈને અલવિદા
વધુ એક ચોંકાવનારો નિર્ણય કિંગ્સ ઈલેવન પંજાબનો છે, જેણે મોટા હિટર ગ્લેન મેક્સવેલને ટીમની બહાર કરી દીધો છે. મેક્સવેલ ગત સિઝનમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. જોકે ભારત સામે ગત નવેમ્બર-ડિસેમ્બરમાં રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીમાં તેણે ઓસ્ટ્રેલિયા તરફથી રમતા ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ૧૪મી સિઝનમાં લસિથ મલિંગા મુંબઈ તરફથી રમતો જોવા નહીં મળે. મુંબઈની ટીમે રિટેન નહીં કરતાં મલિંગાએ ફ્રેંચાઇઝી ક્રિકેટને જ અલવિદા કહી દીધું છે.
ધોનીની કેપ્ટન્સીમાં રૈના ફરી એકવાર રમતો જોવા મળશે
ભારતના ક્રિકેટ ચાહકોને સૌથી વધુ આતુરતા સીએસકે અંગે હતી. ગત સિઝનમાં સીએસકેએ કંગાળ પ્રદર્શન કર્યું હતું અને આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતું કે ટીમ પ્લેઓફ ક્વોલિફાય કરી શકી નહોતી. આથી ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ હતો કે શું ૨૦૨૧માં ધોની ટીમનો કેપ્ટન હશે ખરો? જોકે સીએસકેએ ધોનીને રિટેન કરીને સ્પષ્ટ કરી દીધું છે કે ધોની જ ટીમનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત ગત સિઝનની શરૂઆત થાય એ પહેલાં જ સીએસકેના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી સુરેશ રૈનાએ આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને ભારત પરત ફરી ગયો હતો. એ સમયે એવું લાગતું હતું કે રૈના ભવિષ્યમાં સીએસકે તરફથી રમતો જોવા નહીં મળે, પરંતુ સીએસકે ટીમ મેનેજન્ટમેન્ટે સુરેશ રૈનાને ટીમમાં જાળવી રાખ્યો છે અને ૨૦૨૧માં તે ફરી એક વાર પીળી જર્સીમાં રમતો મેદાનમાં નજરે પડશે.