એવું લાગી રહ્યું છે કે આર્થિક મંદીની અસર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને પણ થઈ રહી છે. IPLમાં ઘણી નવી ચીજોને લઈને દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ હવે ખર્ચ ઓછો કરવામાં વ્યસ્ત બન્યું છે. IPLની આઠ ફ્રેંચાઇઝી સહિત અન્ય લાગતાવળગતાઓને મોકલવામાં આવેલા એક સર્ક્યુલરમાં BCCIએ જણાવ્યું છે કે આ સિઝનથી IPLનો ઉદ્ઘાટન સમારોહ આયોજિત નહીં કરાય. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે પ્લે-ઓફ સ્ટેન્ડિંગ ફંડ પણ વર્તમાન સિઝન માટે ઓછું કરાશે.
ગત વર્ષે ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને રૂ. 20 કરોડ મળ્યા હતા
સર્ક્યુલર અંગે ચાર ફ્રેંચાઇઝીએ નારાજગી વ્યક્ત કરી
BCCI તરફથી મોકલવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે IPL-૨૦૨૦ની ફાઇનલમાં વિજેતા ટીમને ૧૦ કરોડ રૂપિયા, રનરઅપ (ફાઇનલમાં હારનારી) ટીમને ૬.૨૫ કરોડ, ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમ, ક્વોલિફાયર-2ના પ્લેઓફમાં હારનારી અને એલિમિનેટર પ્લેઓફ મેચ હારનારી ટીમને ૪.૩૭ કરોડ રૂપિયા મળશે. BCCIએ ૨૦૨૦ માટે પ્લેઓફ સ્ટેન્ડિંગ ફંડમાં લગભગ ૫૦ ટકાના કાપનો પ્રસ્તાવ રાખ્યો છે. ફ્રેંચાઇઝીઓ હાલ આ અંગે વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે IPL-૨૦૧૯ની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને ઇનામી રકમ તરીકે રૂ. ૨૦ કરોડ અપાયા હતા. રનરઅપ ટીમને ૧૨.૫ કરોડ મળ્યા હતા.
ફ્રેંચાઇઝી ચર્ચા માટે તૈયારઃ
આ સર્ક્યુલર અંગે ચાર ફ્રેંચાઇઝીએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે અમે ખુશ નથી. અન્ય બે ફ્રેંચાઇઝીએ જણાવ્યું છે કે અમે આ અંગે BCCIના અધિકારી સાથે ચર્ચા કરીશું.
ઓટો નો-બોલની તૈયારીઃ
૨૦૧૯માં ટેસ્ટિંગ અને તાજેતરમાં જ કોલકાતામાં પિન્ક બોલથી રમાયેલી ટેસ્ટમાં ચકાસ્યા બાદ BCCI IPLની આગામી સિઝનમાં ફ્રન્ટ-બેકફૂટ પર ઓટો નો-બોલ માટે એક નવો પ્રોટોકોલ લાવવા માટે તૈયાર છે. સર્ક્યુલરમાં એ અંગે જાણકારી આપવામાં આવી છે કે થર્ડ અમ્પાયર ફ્રન્ટ-બેકફૂટ નો-બોલ જોવાની જવાબદારી સંભાળશે.
બિઝનેસ ક્લાસની ટિકિટ મળવી હવે મુશ્કેલઃ
BCCIએ ખર્ચ ઓછો કરવાના ભાગરૂપે પોતાના કર્મચારીઓ માટે એક નવી ટૂર પોલિસી બનાવી છે. અગાઉ ત્રણ કલાકથી ઓછા સમયના ઉડાણ માટે સિનિયર કર્મચારી માટે બિઝનેસ ક્લાસની ટિકિટની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પરંતુ હવે જો ફ્લાઇટનો સમય આઠ કલાકથી ઓછો હોય તે ઇકોનોમી ક્લાસમાં જ પ્રવાસ કરવો પડશે.
કેપ્ડ ખેલાડીઓને લોન પર લેવાની સુવિધાઃ
IPL-૨૦૧૯માં ફક્ત અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને જ સિઝન દરમિયાન એક ફ્રેંચાઇઝી પાસેથી બીજી ફ્રેંચાઇઝીમાં લોન પર લઈ શકાતા હતા. વર્ષ ૨૦૨૦માં આ નિયમમાં ફેરફારકરીને વિદેશી ખેલાડીઓ અને કેપ્ડ ભારતીય ખેલાડીઓને લોન પર લઈ શકાશે.
વેન્યૂ એગ્રીમેન્ટની રકમમાં વધારોઃ
BCCIના વેન્યૂ એગ્રીમેન્ટ અનુસાર દરેક ફ્રેંચાઇઝીએ પ્રત્યેલ IPL મેચની યજમાની માટે પોતાના સંબંધિત રાજ્ય સંઘોને ૩૦ લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. આ રકમમાં હવે ૨૦ લાખ રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે.