કોરોના વાયરસ આઈપીએલને પણ ભરખી જશે ? દેશનાં ક્રિકેટ બોર્ડ સામે સૌથી મોટો યક્ષ પ્રશ્ન આ જ છે. ચીનમાંથી ફેલાયેલા આ વાયરસે વિશ્વ આખામાં કોહરામ મચાવ્યો છે. હજારો લોકોનો ભોગ લેનાર આ વાયરસ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે પહેલાં સ્થગિત થયેલી IPL હવે રદ્દ થઇ શકે છે.
કોરોના વાયરસનાં પગલે લેવાઈ શકે છે મોટો નિર્ણય
શાળા-કોલેજ અને મોલ-મલ્ટીપ્લેક્સ પણ બંધ છે ત્યારે IPL યોજાય તેની સંભાવના ઓછી
IPLની વિવિધ ટીમ પણ થઇ તૈયાર
મીડિયાનાં અહેવાલો પ્રમાણે આગામી સમયમાં આઈપીએલની બધી ટીમ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગની મદદથી બેઠક થવાની છે જેમાં IPL મુદ્દે મોટો નિર્ણય લેવાઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પહેલાં સોમાવરે સાંજે થવાની હતી. કોરોના વાયરસનાં કારણે પેદા થયેલી સ્થિતિ પર મોટો નિર્ણય આવે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે દેશમાં ઘણા રાજ્યોએ કોરોના વાયરસનાં કારણે મોટા પગલાં લીધા છે. કોરોના વાયરસનાં કારણે શાળા-કોલેજ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મોલ-મલ્ટીપ્લેક્ષ પણ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ વર્ષે IPL થાય તેની સંભાવના ખૂબ ઓછી છે. જે માટે બધી ટીમ પણ તૈયાર થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
IPLનાં એક અધિકારીએ કહ્યું કે લોકોની સુરક્ષા તેમની પહેલી પ્રાથમિકતા છે. વધુમાં જયારે તેમને ટીમોને થનાર નુકસાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અન્ય કોઈ રસ્તો જ નથી. વર્તમાન પરિસ્થિતિને જોઇને લાગે છે કે આ વર્ષે લીગ નહી થાય.
એક ટીમનાં અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કબૂલાત કરી કે જો IPL રદ્દ થાય છે તો ટીમને 15થી 20 કરોડ રૂપિયાનું નુકસાન જશે. આ પૈસા લીગનાં સફળ આયોજન માટે હોય છે. આ સિવાય ટિકિટ વગેરેનો ઇન્શ્યોરન્સ પણ કરવામાં આવ્યો છે. આ બધું જ નુકસાન ટીમોએ ઉઠાવવું પડશે. જોકે અમને ખબર છે કે આ નુકસાન લોકોની સુરક્ષાથી મોટું નથી.
નોંધનીય છે કે ભારત સરકારે વિદેશીઓના વિઝા પણ રદ્દ થઇ ગયાં છે. એવામાં બીજા દેશનાં ખેલાડીઓ ભારત કઈ રીતે આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે. સાથે જ સૌરવ ગાંગુલીએ પણ માન્યું હતું કે જો IPL થશે તો પણ ટૂંકી થશે.