દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL હવે કોરોના વાઇરસની ઝપેટમાં આવતી દેખાઈ રહી છે. મળી રહેલા અહેવાલો અનુસાર IPLની ૧૩મી સિઝન કોરોના વાઇરસને કારણે રદ થાય તેવી શક્યતા છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે અને આગામી ૪૮ કલાકમાં IPL રદ થવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.
WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી
ભારત સરકારે ભારત આવનારા લોકોના બધા વિઝા રદ કરી દીધા
IPL પર કોરોનાનાં વાદળ મંડરાઈ ચૂક્યાં છે
સૌથી મોટો સવાલઃ ભારત સરકારે તમામના વિઝા રદ કર્યા, તો વિદેશી ખેલાડી કેવી રીતે ભારત આવી શકશે?
WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. આથી ભારત સરકારે પણ ભારત આવનારા લોકોના બધા વિઝા રદ કરી દીધા છે. જોકે ડિપ્લોમેટિક વિઝા, UN/ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, રોજગાર સંબંધિત, પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિઝા હોલ્ડર્સને આમાં છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણય આવતી કાલ તા. ૧૩ માર્ચની મધરાતથી લાગુ થઈ જશે. હવે જ્યારે ભારત સરકારે જ દેશમાં આવનારા લોકોના વિઝા રદ કરી દીધા છે તો લગભગ ૬૦ જેટલા વિદેશી ખેલાડી ભારતમાં IPL રમવા કેવી રીતે આવી શકશે? સરકારના આ આદેશ બાદ IPL રદ થવાની આશંકા વધુ મજબૂત બની છે.
ઉલ્લેખનીય છે કે IPLની શરૂઆત ૨૯ માર્ચથી થવાની હતી, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ જ રદ થવાની શક્યતા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે IPL પર કોરોનાનાં વાદળ મંડરાઈ ચૂક્યાં છે. થોડા જ કલાકોમાં આ અંગે મોટી જાહેરાત થઈ શકે છે. જો IPLની ૧૩મી સિઝન રદ થશે તો ફ્રેંચાઇઝીઓ, ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોને મોટું નુકસાન થશે એ નક્કી છે.
બે રાજ્ય સરકાર IPLની વિરુદ્ધઃ
મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરકાર IPL આયોજિત કરવાની વિરુદ્ધમાં છે. કર્ણાટક સરકારે બેંગલુરુમાં IPLની મેચ નહીં યોજવા અંગે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ IPLને સ્થગિત કરવાની વાત કહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે તો IPLની ટિકિટોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રાજેશ ટોપેએ કહ્યું, ''રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર પાસે બે જ વિકલ્પ છે- IPLની મેચ સ્થગિત કરવામાં આવે અથવા તો મેચ ટીવી દર્શકો સુધી જ સીમિત રાખવામાં આવે. રાજ્ય કેબિનેટે કોરોના વાઇરસ અને IPL મેચ અંગે ચર્ચા કરી. ચર્ચા બાદ અમારી પાસે બે વિકલ્પ આવ્યા- મેચને સ્થગિત કરવી અથવા ટિકિટના વેચાણ વિના મેચનું આયોજન કરવું.''
શનિવારે ગવર્નિંગ કાઉન્સિલની તાકીદની બેઠકઃ IPLની ગવર્નિંગ કાઉન્સિલ શનિવારે મુંબઈમાં કોરો વાઇરસ અંગે તાકીદની બેઠક યોજશે. કાઉન્સિલે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે IPLની મેચોને ખાલી સ્ટેડિયમમાં યોજવા અંગે ચર્ચા કરી.
IPLની બેઠકનું નેતૃત્વ બ્રિજેશ પટેલ કરશે. આ બેઠકમાં BCCIનો અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પણ સામેલ થાય તેવી શક્યતા છે. એક ફ્રેંચાઇઝીના સભ્યએ જણાવ્યું, '' IPL ના રમાય કરતાં તો સારું છે કે ખાલી સ્ટેડિયમમાં રમાય.''
જોકે રોડ સેફ્ટી વર્લ્ડ ટી-૨૦ સિરીઝ મુંબઈમાં રમાઈ રહી છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, વિન્ડીઝ, શ્રીલંકા અને દ. આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર્સ રમી રહ્યા છે. આ મેચોમાં પણ વાનખેડે સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોય છે. હવે જોવાનું એ રહે છે કોરોના વાઇરસ IPLને પણ ભરખી જશે કે કેમ?