IPL 2021 પૂર્ણ થયા બાદ વિરાટ કોહલીએ પણ આરસીબીની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે વિરાટ આરસીબીમાં ફક્ત એક ખેલાડી તરીકે રમશે.
વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશિપ છોડી દીધી
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે આપ્યું નિવેદન
RCBએ પોતાનો નવો કેપ્ટન હરાજીમાં શોધવો પડશે
આરસીબીના કેપ્ટનને લઇ થઇ ભવિષ્યવાણી
વિરાટની આગેવાનીમાં આ ટીમ એક પણ વખત ચેમ્પિયન બની નથી અને તેમણે એટલે હવે કેપ્ટનશિપ પણ છોડી દીધી છે. પરંતુ વિરાટે સુકાનીપદ છોડ્યા બાદ આરસીબીને હવે એક નવા કેપ્ટનની જરૂર પડશે. જેના માટે ઘણાં તગડા ખેલાડી દાવેદાર છે. આ દરમ્યાન આરસીબીના નવા કેપ્ટન અંગે હવે એક મોટી ભવિષ્યવાણી થઇ છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે આ અંગે કહ્યું છે કે આરસીબીએ પોતાનો નવો કેપ્ટન હરાજીમાં શોધવો પડશે. પઠાણે સ્ટાર સ્પોર્ટસના એક શોમાં કહ્યું કે આરસીબી એવા ખેલાડીઓમાંથી કોઈને પણ પોતાનો કેપ્ટન પસંદ નહી કરે જેણે આરસીબીને હરાજી પહેલા રિટેન કર્યો છે. આ દરમ્યાન પઠાણે ગ્લેન મેક્સવેલ અંગે કહ્યું કે આરસીબીએ મેક્સવેલને પોતાના કેપ્ટન તરીકે પસંદ ના કરવો જોઈએ.
મેક્સવેલની કેપ્ટન તરીકે પસંદગી ના કરવી જોઈએ
પઠાણે કારણ દર્શાવતા જણાવ્યું છે કે મેક્સવેલ કેપ્ટન બનવા માટે એક સારા દાવેદાર છે, પરંતુ તેઓ એક ફ્રી ખેલાડી છે અને તેમની પર કેપ્ટનશિપનું દબાણ કરવુ યોગ્ય નથી. પઠાણનું એવુ પણ કહેવુ છે કે આ ખેલાડીને કેપ્ટન બનાવવાથી તેની રમત પર ખાસ્સી અસર પડી શકે છે. તેથી આરસીબીએ હરાજી પહેલાં જ કોઈ ખેલાડી શોધવો પડશે.
આ બે ખેલાડી છે દાવેદાર
આરસીબી માટે નવા કેપ્ટન બનવા માટે આમ તો ઘણાં ખેલાડી દાવેદાર છે. પરંતુ આ પદ માટે બે એવા ખેલાડી છે, જે ખરેખર મજબૂત ઉમેદવાર બની શકે છે. આ ખેલાડી બીજુ કોઈ નહીં, પરંતુ કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર છે. આ બંને ખેલાડી પોતાની ટીમનો સાથ છોડી હરાજીમાં ઉતરવાના છે. મહત્વનું છે કે, શ્રેયસ ઐયર અને રાહુલ બંનેને કેપ્ટનશિપનો ખાસ્સો અનુભવ છે. બીજી તરફ એવા અહેવાલ પણ સામે આવ્યાં છે કે રાહુલને લખનઉ ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે અને ઐયરને આરસીબીના કેપ્ટન તરીકે જોવામાં આવે છે.