આઈપીએલ 2022માં 28 માર્ચે રમાયેલી ચોથી મેચમાં પ્રશંસકોને મોહમ્મદ શમીનો કહેર જોવા મળ્યો. શમીએ લખનઉ સુપરજાયન્ટ્સ સામે પાવરપ્લેમાં ત્રણ વિકેટ લઇને તેના ટીમની જીતનો પાયો નાખ્યો હતો.
IPLની ચોથી મેચમાં મોહમ્મદ શમીનો કહેર જોવા મળ્યો
મોહમ્મદ શમીએ દરેક ઓવરમાં એક વિકેટ લીધી
વાનખેડેમાં અંતિમ ઓવરમાં ગુજરાત ટીમનો નિર્ણાયક વિજય
હાર્દિક પંડ્યાએ પાવરપ્લેમાં મોહમ્મદ શમીની ત્રણ ઓવર નખાવી
ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પાવરપ્લેમાં મોહમ્મદ શમીની ત્રણ ઓવર નખાવી દીધી અને તેમનો આ નિર્ણય ખૂબ લાભકારક નિવડ્યો. કારણકે શમીએ દરેક ઓવરમાં એક વિકેટ લીધી. શમી જે રીતે બોલિંગ કરી રહ્યાં હતા તે સમયે તેમને રમાડવા લગભગ અશક્ય હતા. એવામાં હાર્દિક પંડ્યાએ વિચાર્યુ કે તેઓ શમીની ચોથી ઓવર પણ નખાવી દે પરંતુ જ્યારે તેઓ શમીની પાસે ચોથી ઓવરની દરખાસ્ત લઇને પહોંચ્યા તો શમીએ તેના કેપ્ટનની વાત સીધી નકારી દીધી.
શમીને શાનદાર બોલિંગ માટે મેન ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો
મેચ બાદ શમીએ ખુલાસો કર્યો અને કહ્યું હાર્દિક પંડ્યાએ મને પૂછ્યુ કે શું હુ સતત ચોથી ઓવરમાં પણ બોલિંગ કરવા માગુ છુ. મેં તેમને કહ્યું કે શાંત રહો, હજી આખી મેચ પડી છે. સ્વાભાવિક છે કે શમી ખૂબ થાકી ગયા હતા અને તેઓ ઈચ્છતા હતા કે હાર્દિક તેમની એક ઓવર અંત માટે બચાવીને રાખે. આ મેચમાં મોહમ્મદ શમીને તેની શાનદાર બોલિંગ માટે મેન ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરી 6 વિકેટના નુકસાને 158 રન બનાવ્યાં હતા. પરંતુ રાહુલ તેવતિયાની આક્રમક ઈનિંગના કારણે ગુજરાતની ટીમે મેચ અંતિમ ઓવરમાં જીતી લીધી અને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી.