આઇપીએલ 2020 (IPL 2020) ના આયોજન પર ગ્રહણ લાગી શકે છે. 29 માર્ચથી 24 મે દરમિયાન રમાનારી આ ટૂર્નામેન્ટ પર કોરોનાનો માર પડી શકે છે. આઇપીએલના આયોજન પર રોક લગાવવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.
29 માર્ચથી 24 મે દરમિયાન રમાનારી આ ટૂર્નામેન્ટ પર કોરોનાનો માર પડી શકે છે
કર્ણાટક સરકારે બેંગલુરુમાં આઇપીએલ મેચની યજમાની કરવાનો ઇનકાર કરી દીધો છે
વકીલ જી. એલેક્સ બેનજીગરે આ અરજી દાખલ કરી છે, જેની જસ્ટિસ એમ. એમ. સુધીન્દ્ર અને કૃષ્ણન રામાસ્વામીની ડિવિઝન બેન્ચ આવતી કાલે 12 માર્ચે સુનાવણી કરે તેવી શક્યતા છે.
અરજીકર્તા બેનજીગરે જણાવ્યું,''વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટના જણાવ્યા અનુસાર કોરોનાને લઈ ખાસ દવા ઉપલબ્ધ નથી અને આ વાઇરસ દુનિયાભરમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઇટાલી ફેડરેશન લીગ દુનિયાની સૌથી જૂની લીગમાંની એક છે તે પણ કોરોનાના કારણે પ્રભાવિત થઈ છે.''
અરજીકર્તાએ જણાવ્યું,''મેં અધિકારીઓને એક પ્રેઝન્ટેશન મોકલ્યું છે કે બીસીસીઆઇ (BCCI) ને આઇપીએલનું આયોજન કરવા મંજૂરી આપવામાં ના આવે, જોકે આ અંગે હજુ સુધી કોઈ જવાબ મળ્યો ન હોવાથી મેં કોર્ટમાં અરજી કરી છે.''
જોકે બીસીસીઆઇનો અધ્યક્ષ સૌરવ ગાંગુલી અગાઉ જ કહી ચૂક્યો છે કે ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. ટૂર્નામેન્ટ દરમિયાન કોરોનાથી બચવા માટે અમે પૂરતી વ્યવસ્થા કરીશું.''
કર્ણાટક સરકારે બેંગલુરુમાં આઇપીએલ મેચની યજમાની કરવાનો ઇનકાર કરી દીધો છે. આ અગાઉ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાને પણ આઇપીએલ સ્થગિત કરવાની માગણી કરી હતી. એક લોકલ ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને આઇપીએલ સ્થગિત કરવાની વાત કહી છે.
કર્ણાટકમાં આઇપીએલની મેચ ન યોજવાનું મોટું કારણ એ પણ છે કે રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન સુધાકરના જણાવ્યા અનુસાર ગત સોમવારે અમેરિકાથી પરત ફરેલો બેંગલુરુના નિવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકા આવ્યા બાદ આ વ્યક્તિ 2666 લોકોને મળ્યો છે. આ વ્યક્તિને રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચેસ્ટ ડિસિઝમાં રાખવામાં આવ્યો છે. કર્ણાટક સરકારના આ પગલા બાદ હવે એ જોવાનું રહે છે કે બીસીસીઆઇ આ અંગે કેવું વલણ અપનાવે છે.