કોરોના વાયરસના કારણે હવે લાંબા સમય બાદ આઈપીએલનું આયોજન થવા જઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં યુએઈમાં ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે ત્યારે બોર્ડ માટે એક સમસ્યાનું સમાધાન કર્યું ત્યાં બીજી સમસ્યા ઉભી થઇ ગઈ છે કે છ મહિનામાં બે બે આઈપીએલનું આયોજન કરવું કઈ રીતે ?
બીસીસીઆઇને હવે કોરોના વાઇરસનો બહુ ડર નથી
આગામી છ મહિનામાં બે આઇપીએલનો બોજ ઝીલી શકશે?
આગામી વર્ષે આઇપીએલ માર્ચ-એપ્રિલમાં યોજાશે
બીસીસીઆઇને હવે કોરોના વાઇરસનો બહુ ડર નથી, પરંતુ બીસીસીઆઇને એક બીજું ટેન્શન સતાવી રહ્યું છે શું માર્કેટ આગામી છ મહિનામાં બે આઇપીએલનો બોજ ઝીલી શકશે? આ વર્ષે આઇપીએલ ભારતમાં ૨૯ માર્ચથી ૨૪ મે દરમિયાન રમાવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેને સ્થગિત કરવી પડી. હવે આઇપીએલનું આયોજન ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં થવાનું છે.
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું ૨૦૨૦ની આઇપીએલને રમતગમત મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં ગૃહ અને વિદેશ મંત્રાલયની પણ મંજૂરી મળી જશે. અમને એનું ટેન્શન નથી. જ્યાં સુધી યુએઈ જવાની વાત છે, તેના માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરાશે. અમને ટેન્શન ફક્ત એ જ વાતનું છે કે શું માર્કેટ છ મહિનામાં બે આઇપીએલનો બોજ ઝીલી શકશે ખરું? કારણ કે આગામી વર્ષે આઇપીએલ માર્ચ-એપ્રિલમાં યોજાશે
'શું પ્રસારણકર્તા સ્ટાર ઇન્ડિયા તરફથી કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યા છે?' એ સવાલના જવાબમાં આ અધિકારીએ જણાવ્યું, ''એ અંગે હું કંઈ કહી ના શકું, પરંતુ આ એકમાત્ર પરેશાનીનો વિષય છે. આ ફક્ત પ્રસારણકર્તાનો મામલો નથી. આમાં સ્પોન્સર્સ, આઠ ફ્રેંચાઇઝી સહિત બધા સામેલ છે. કોરોનાને કારણે માર્કેટની સ્થિતિ પણ અગાઉ જેવી નથી. હવે એ જોવું રહ્યું કે ૨૦૨૧ની આઇપીએલ માટે સ્પોન્સર્સ અને જાહેરાત માટે કેટલી કંપનીઓ આગળ આવે છે.