રમાઈ રહેલી IPLમાં ભલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું ભલે બહુ ખાસ ના રહ્યું હોય, પરંતુ તેના વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે પોતાના પ્રદર્શનથી બધાંનાં દિલ જીતી લીધાં છે. પાર્થિવે ચેન્નઈ સુપર કિંગ્સ સામે પોતાની ટીમને વિજય અપાવ્યા બાદ પંજાબ સામે પણ જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી.
પાર્થિવે પંજાબ સામે 24 બોલમાં 43 રન બનાવ્યા. તેણે પાવરપ્લેમાં જબરદસ્ત બેટિંગ કરીને આરસીબીનો સ્કોર છ ઓવરમાં 70રન સુધી પહોંચાડી દીધો, જોકે પાર્થિવ અર્ધસદી ચૂકી ગયો અને એમ. અશ્વિનની બોલિંગમાં આઉટ થઈ ગયો.
ઉલ્લેખનીય છે કે પાર્થિવની લાઇફમાં ઘણી પરેશાનીઓ ચાલી રહી છે. તેના પિતા બ્રેઇન હેમરેજને કારણે ગત ફેબ્રુઆરીથી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. પાર્થિવ મેચ પૂરી થયા બાદ તરત જ તેના પિતાને મળવા અમદાવાદ પહોંચી જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના પિતાએ જ પાર્થિવને IPLમાં રમતા રહેવા માટે કહ્યું છે. પાર્થિવે આ સિઝનમાં 29.63ની સરેરાશથી 326 રન બે અર્ધસદી સાથે બનાવ્યા છે.
પાર્થિવે પોતાના વિકેટકીપિંગથી પણ બધાને પ્રભાવિત કર્યા છે. ચેન્નઈ સામેની મેચમાં તેણે અંતિમ બોલ પર શાર્દુલ ઠાકુરને રનઆઉટ કરીને બેંગલુરુને એક રને જીત અપાવી હતી.