IPLમાં ફક્ત બે મેચ રમેલા ડેલ સ્ટેનની ખભાની ઈજા ફરી વકરી અને દક્ષિણ આફ્રિકાનો આ ફાસ્ટ બોલર IPLની સમગ્ર સિઝન માટે બહાર થઈ ગયો. જોકે IPL કરતાં વધુ દક્ષિણ આફ્રિકા માટે આ ચિંતાની વાત છે. વર્લ્ડકપ તા. ૩૦ મેથી શરૂ થઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ પણ મહેન્દ્રસિંહ ધોનીને લઈને આવી કોઈ પરેશાનીથી બચવા ઇચ્છે છે.
ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની કમરમાં દર્દ હોવા છતાં IPLમાં રમી રહ્યો છે. થોડા દિવસ પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ ધોનીએ સંકેત આપ્યો હતો કે જો જરૂર પડશે તો તે આરામ કરવા અંગે વિચારી શકે છે. ત્યાર બાદ ધોનીએ IPLની એકાદ મેચમાં આરામ પણ લીધો. ધોનીની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે તેથી તે કદાચ પ્લેઓફ સુધીની મેચોમાં વધુ આરામ કરી શકે છે. જોકે ચેન્નઈના બેટિંગ કોચ માઇક હસીનું કહેવું છે કે ''ધોનીને આરામ કરવા માટે કહેવું આસાન નથી.''
માઇક હસીએ જણાવ્યું, ''હું જેટલો ધોનીને જાણું છું, તે કોઈ મેચ છોડવા નહીં માગે. તેને CSK તરફથી રમવું બહુ જ પસંદ છે. તે શાનદાર પ્રદર્શન કરવા ઇચ્છે છે અને ટીમને સફળ થતી જોવા માગે છે. આ સ્થિતિમાં તેને આરામ આપવો બહુ જ મુશ્કેલ છે.''
ધોની જાણે છે કે, T-૨૦ ક્રિકેટમાં લય બહુ જ જરૂરી છે. નાનકડી ભૂલ પણનું પરિણામ ખરાબ આવી શકે છે. જે બે મેચમાં ધોની મેદાનમાં ના ઊતર્યો એ બંને મેચ CSKની ટીમ હારી ગઈ. હવે વર્લ્ડકપ શરૂ થવાનો છે ત્યારે ધોનીએ પોતાની કમરની ઈજા અંગે કોઈ નિર્ણય કરવો પડશે.
માઇક હસીએ જણાવ્યું, ''એ જરૂરી છે કે અમે ખેલાડીઓ પાસેથી સમજદારીથી કામ લઈએ. આરામ અને રિકવરી પર અમારું ધ્યાન છે જ અને ટીમના ફિજિયો ઘણી મહેનત કરી રહ્યા છે.'' ટીમ ઇન્ડિયા માટે જરૂરી છે કે ધોની વર્લ્ડકપમાં રમે. ટીમ મેનેજમેન્ટે ધોનીના 'ઇન્જરી મેનેજમેન્ટ' પર બહુ ચીવટથી કામ કરવું પડશે.